PMની અપીલ પર વડોદરાના યુવકે UKની ટ્રીપ કેન્સલ કરી:1.35 લાખ રૂપિયાની ટિકિટના નાણાં જતા કર્યાં, હવે ગુજરાતમાં જ ફરવા જશે

Gujarat5/14/2026, 2:29:55 PM
PMની અપીલ પર વડોદરાના યુવકે UKની ટ્રીપ કેન્સલ કરી:1.35 લાખ રૂપિયાની ટિકિટના નાણાં જતા કર્યાં, હવે ગુજરાતમાં જ ફરવા જશે
વડાપ્રધાનની અપીલને લઈને વડોદરા સહિત રાજ્યના અનેક લોકો પોતાની વિદેશ ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે. શહેરમાં પણ અનેક લોકોએ પોતાની વિદેશની ટ્રીપ કેન્સલ કરી છે. લોકો પોતાની ટિકિટના પૈસા જતા કરીને પણ વડાપ્રધાનની અપીલને માન આપીને વિદેશ પ્રવાસને બદલે દેશમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એક યુવકે પણ UKના પ્રવાસની ટિકિટના 1.35 લાખ રૂપિયા જતા કરીને પોતાનો પ્રવાસ કેન્સલ કર્યો છે. આજે જ તેમની ફ્લાઇટ હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમને વિચાર બદલી નાખ્યો. હવે તે ગુજરાતમાં જ ફરવાનું પ્લાન બનાવી રહ્યો છે. 'આજની UKની ફ્લાઇટ હતી, એ રદ કરી દીધી' વડોદરાના યુવાન પ્રદીપ રામસિંહ કોટિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે જાહેરાત કરી હતી કે, તમારે વિદેશની યાત્રા ન કરવી જોઈએ અને આપણા દેશની જે પણ ઇન્કમ છે, તે અહીંયા ઇન્ડિયામાં જ તમે વાપરો. એ પ્રમાણે મારી આજની UKની ફ્લાઇટ હતી, તો મેં તે રદ્દ કરી દીધી છે. હું એરપોર્ટ પર પણ ગયો નથી અને મેં મારા મિત્ર મંડળ સાથે પણ ચર્ચા કરી અને સલાહ લીધી હતી. તો એ લોકોએ પણ કીધું કે હા, આપણે ન જવું જોઈએ. તો એ પ્રમાણે મેં આજની ફ્લાઈટ કેન્સલ કરી છે અને હું નથી જઈ રહ્યો. હવે સોમનાથ ફરી આવીશું: પ્રદીપ કોટિયા પ્રદીપ કોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો 6 દિવસ યુકે ફરવા જવાનો પ્લાન હતો. પણ મેં આ પ્લાન કેન્સલ કરી દીધો છે. હવે આપણે ગુજરાતમાં સોમનાથ ફરી આવીશું. વડોદરાના સાંસદે એમની યાત્રા કેન્સલ કરી છે, તો આપણે પણ એક આમ નાગરિક છીએ અને હું એમનું માન-સન્માન રાખું છું. આપણે ભારત દેશના નાગરિક છીએ, તો આપણે પણ કંઈક એવું વિચારવું જોઈએ જેનાથી આપણા દેશની પ્રગતિ થાય. એ જ મારું માનવું છે અને એ જ મહત્વનું છે. અત્યારે જે રીતે આર્થિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ, તો મોદી સાહેબે જે કીધું છે એ પ્રમાણે આપણે એમના રસ્તા પર ચાલવું જોઈએ. મેં આજે આ યાત્રા કેન્સલ કરી છે, તો આવી જ રીતે બીજા ઘણા લોકો પણ કરી શકે છે. મારી ટિકિટ કન્ફર્મ ટિકિટ હતી અને આજની જ ફ્લાઇટ હતી, 1.35 લાખ રૂપિયાની નોન રિફન્ડેબલ હતી. જોકે મારા મતે પૈસા કરતા દેશ પહેલો છે. સરાહનીય નિર્ણય લીધો છે: યુવકના મિત્ર યુવકના મિત્ર દિવ્યાંગ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે અમને ખૂબ જ ગર્વ અને ખુશીની લાગણી અનુભવાઈ રહી છે. મારા પરમ મિત્ર છે, પ્રદીપભાઈ. તેઓ આગામી સમયમાં 6 દિવસ માટે લંડન ફરવા જવાના હતા. પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી, તેને ધ્યાનમાં રાખીને તેમણે આજે સવારે જ એક મોટો અને સરાહનીય નિર્ણય લીધો છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે જ પ્રદીપભાઈએ અમારી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી. તેઓ મૂંઝવણમાં હતા અને અમને પૂછતા હતા કે, હું લંડન જાઉં કે ન જાઉં?, ત્યારે અમે પણ પ્રદીપભાઈને હકારાત્મક સલાહ આપતા કહ્યું કે, પ્રદીપભાઈ, જો આપ અત્યારે ન જાઓ તો એ વધારે યોગ્ય રહેશે. અમારું માનવું હતું કે આમ કરવાથી મોદી સાહેબે દેશના લોકોને જે આહવાન કર્યું છે તેનું સન્માન જળવાશે.
Read Original Article →