મહારાષ્ટ્રના વિદ્યાર્થીનો 'સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટ’ના છઠ્ઠા માળેથી આપઘાત:વાઘોડિયાની ખાનગી યુનિ.માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતો, કારણ અકબંધ
શિક્ષણના હબ ગણાતા વડોદરા શહેરમાં આજે વહેલી સવારે એક આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાઘોડિયા વિસ્તારની એક ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. મિત્રો અને રહીશોમાં દોડધામ
મૂળ મહારાષ્ટ્રના પૂણેનો વતની સાઈરાજ અરુણભાઈ હરાલ (ઉં.વ. 21) તેના મિત્રો સાહિલ અને રીતેષ સાથે બાપોદ પોલીસ મથકની હદમાં આવેલા માધવપુરા ગામના 'સાહિત્ય ગ્રીન એપાર્ટમેન્ટ'માં ભાડે રહેતો હતો. આજે વહેલી સવારે સાઈરાજે અચાનક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના રહીશો જાગી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સાઈરાજને જોઈ તેના મિત્રોને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસ શરૂ
સાઈરાજ વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બાપોદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →