ભાજપે વાનચાલક રાજેશ માછીને મનપાની ટિકિટ આપી:‘લોકો કહેતા કે, કેમ ગાંડાની જેમ ભાગે છે? તને ક્યાં ઉમેદવાર બનાવશે?, મોદી સાહેબ ચા વેચીને આગળ આવ્યા, એટલે ગરીબોની વેદના સમજે છે’
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટાભાગે યુવાઓને ટિકિટ આપી છે. આ ઉપરાંત કેટલાક જુના જોગીઓને પણ પાછા લાવી છે. આ બધાની વચ્ચે એક નામ એવું પણ છે કે, જેઓ સ્કૂલ વર્ધી વાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વાત છે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેતા ભૂપેન્દ્ર ઉર્ફ રાજેશ માછીની... આમ તો તેઓ વિસ્તારમાં રાજેશ માછીના નામથી ઓળખાય છે. પહેલા રાજેશ માછી રિક્ષા ચલાવતા હતા. હાલ તેઓ સ્કૂલ વર્ધી વાન ચલાવે છે. ભાજપે તેમની કર્મનિષ્ઠા જોઈને તેમને મનપાની ટિકિટ આપી છે, તેનાથી તેઓ અને તેમના પરિવારજો ખૂબ જ ખુશ છે. ‘મને વિશ્વાસ હતો કે મારી મહેનતની કદર જરૂર થશે’
વડોદરાના વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર ઉર્ફ રાજેશ માછીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. પાર્ટીએ મને વોર્ડના મંત્રીથી લઈને વોર્ડના પ્રમુખ સુધીની જવાબદારીઓ સોંપી છે અને મને આગળ વધવાની તક આપી છે. હું પાર્ટીનો ખૂબ જ ઋણી છું. મને પણ વિશ્વાસ નહોતો કે, હું ઉમેદવાર બનીશ. શરૂઆતમાં હું જ્યારે કામ કરતો હતો, ત્યારે લોકો મને કહેતા હતા કે, તું કેમ ગાંડાની જેમ ભાગે છે? પાર્ટી તને ક્યાં ઉમેદવાર બનાવશે? પણ મને મારી પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ હતો. મોદી સાહેબ પોતે ચા વેચીને આગળ આવ્યા છે, એટલે તેઓ ગરીબોની વેદના સમજે છે. હું પણ રિક્ષા અને વાન ચલાવીને અહીં સુધી પહોંચ્યો છું. મને વિશ્વાસ હતો કે મારી મહેનતની કદર જરૂર થશે. ‘પત્ની માટે ટિકિટ માગી, કોંગ્રેસના ગઢમાં 3 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરાવી’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં લોહીના સંબંધો જેવી લાગણી હોતી નથી, જ્યારે ભાજપમાં નાનામાં નાના કાર્યકરના ઘર સુધીની શું પરિસ્થિતિ છે? તેની ચિંતા પાર્ટી કરે છે. એક કિસ્સો યાદ કરતા તેઓ કહે છે કે, 2015માં મેં મારી પત્ની માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ જે ઉમેદવાર નક્કી કર્યા હતા, તેમને જીતાડવા માટે મેં તનતોડ મહેનત કરી હતી. તે સમયે અહીં કોંગ્રેસનો ગઢ હતો, છતાં અમે કોંગ્રેસના 3 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી હતી. પાર્ટીએ મારી આ મહેનત જોઈ અને આજે મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ‘ટિકિટ મળ્યાની મારા કરતા વધુ ખુશી વિસ્તારની જનતાને છે’
તેઓએ કહ્યું હતું કે, અમારા વિસ્તારના કાઉન્સિલરોએ ઘણા કામો કર્યા છે, પણ પ્રજાની અપેક્ષાઓ હંમેશા રહેતી હોય છે. જેમ આપણે ઘર ગમે તેટલું સારું બનાવીએ, તો પણ કંઈક તો ખૂટતું જ હોય છે, તેમ વિસ્તારમાં પણ જે કામો બાકી છે તે પૂર્ણ કરવાની મારી પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને મારી સોસાયટીનો એક મોટો પ્રશ્ન છે, જે મેં લોકો સાથે ચર્ચા કરી છે અને તે હું જરૂરથી ઉકેલીશ. મને ટિકિટ મળતા મારા કરતા પણ વધારે ખુશી મારા વિસ્તારની જનતા અને મારા કાર્યકર્તાઓમાં છે. મને આનંદ છે કે, મારા કાર્યકર્તાઓ મારી સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. મારું નામ ભૂપેન્દ્ર માછી છે, પણ લોકો મને પ્રેમથી રાજેશ કહીને બોલાવે છે. ચૂંટણી આવે, ત્યારે તેઓ ઘર પણ ભૂલી જાયઃ જયશ્રીબેન
ભૂપેન્દ્રભાઈના પત્ની જયશ્રીબેન માછીએ જણાવ્યું કે, મારા પતિએ આટલા વર્ષોથી પાર્ટી માટે જે મહેનત કરી છે, તેને પાર્ટીએ ઓળખી અને આ ટિકિટ આપી છે. આ માટે હું દિલથી પાર્ટીનો આભાર માનું છું. મેં તેમનો સંઘર્ષ ખૂબ જ નજીકથી જોયો છે. તેમણે 20 વર્ષ સુધી સતત મહેનત કરી છે. જ્યારે પણ ચૂંટણી આવે, ત્યારે તેઓ ઘર ભૂલી જાય છે. તેમને ખાવા-પીવાનું કે આરામ કરવાનું ભાન નથી રહેતું. તેઓ બસ પાર્ટી માટે જ કામ કરે છે. ‘હું ખૂબ જ ખુશ છું અને પાર્ટીનો આભાર માનુ છું’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં ઘણીવાર તેમને કહ્યું હતું કે તમે આટલું બધું દોડધામ કરો છો, પણ આપણને કોણ ઓળખવાનું છે? આપણે તો નાના માણસો છીએ. ભાજપમાં તો મોટા મોટા બંગલા અને ગાડીઓ વાળા લોકો હોય છે, તો આપણને ટિકિટ કોણ આપશે? પણ આજે પાર્ટીએ તેમની મહેનતની કદર કરી છે. અત્યારે મને ખૂબ જ સરસ લાગી રહ્યું છે. પાર્ટીએ તેમની વર્ષોની મહેનત જોઈ અને તેમને તક આપી, તે બદલ હું ખૂબ જ ખુશ છું અને પાર્ટીનો આભાર માનુ છું.
Read Original Article →