વડોદરાની જાણીતી પોલો ક્લબ અને બિલ્ડર આમને સામને:ક્લબના હોદ્દેદારોએ કહ્યું: સરકારી જમીન પર અતિક્રમણ કરી ફ્લેટ્સ બનાવ્યા, કુંજ પ્લાઝાના બિલ્ડરે કહ્યું: જમીન ગાયકવાડની કંપની પાસેથી દસ્તાવેજ કરીને લીધી, કરોડોના ડેફરમેશન દાવો કરીશ
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ કુંજ પ્લાઝા બિલ્ડરે તેમની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ જાણીતી MPCG પોલો ક્લબના હોદ્દેદારોએ કર્યા છે. જોકે આ દાવાને કુંજ પ્લાઝાના બિલ્ડરે ફગાવી દીધા છે અને કરોડો રૂપિયાની માનહાનીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. પોલો ક્લબના પ્રમુખ કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે, પોલો ક્લબ આવેલું છે તે ખરેખર સરકારની માલિકીની જગ્યા છે અને અમે ત્યાં અત્યારે કબજેદાર છીએ. પરંતુ, કુંજ પ્લાઝાના સંચાલકોએ ત્યાં ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું છે. જ્યાં અતિક્રમણ કરીને ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે અને હવે તે લોકોને વેચવામાં આવી રહ્યા છે. જ્યારે અમારી પાસે આ અંગેના તમામ સત્તાવાર દસ્તાવેજો આવ્યા છે, ત્યારે અમને સમજાયું કે આ મોટા પાયે અતિક્રમણ થઈ રહ્યું છે. જો વડોદરાની જનતા આ વિવાદિત જગ્યામાં રોકાણ કરશે, તો અંતે તેમના મહેનતના પૈસા જોખમમાં મુકાશે. બિલ્ડર લોકોને ગમે તે સમજાવીને આ પ્રોપર્ટી વેચી દેશે, પણ અંતે નુકસાન તો વડોદરાની જનતાને જ થશે. લોકોના પૈસા ખોટી રીતે ન બગડે તે માટે જ અમે આજે આ ખુલાસો કરી રહ્યા છીએ. પોલો ક્લબના વાઈસ પ્રેસિડેન્ટ મેહુલ ઝવેરીએ જણાવ્યું હતું કે, પોલો ક્લબ પાસે અંદાજે 21.4 એકર જમીન છે, જે અમને 999 વર્ષના લીઝ પર મળેલી છે. અમે વિશ્વના સૌથી લાંબા લીઝ ધારકોમાંથી એક છીએ. મૂળભૂત રીતે આ જમીન સરકારની છે અને તેનો કબજો પોલો ક્લબ પાસે છે. તેથી, અમારી એ નૈતિક અને કાયદેસરની ફરજ બને છે કે આ જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કે દબાણ ન થાય. અમે આ માટે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ. શરૂઆતમાં સરકારી કચેરીઓમાં જૂના રેકોર્ડ કે દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાને કારણે મુશ્કેલી પડી હતી, કારણ કે આ ક્લબ 1941થી અસ્તિત્વમાં છે. પરંતુ સખત મહેનતના અંતે હવે અમારી પાસે તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેઓએ કહ્યું હતું કે, રેકોર્ડ મુજબ, 'કુંજ રેસી-કમ-પ્લાઝા'ના બિલ્ડર દ્વારા પોલો ક્લબની અને સરકારની માલિકીની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અમારા અંદાજ મુજબ, લગભગ 26,000થી 27,000 સ્ક્વેર ફૂટ જેટલી જમીન પર આ દબાણ છે, જેની બજાર કિંમત આશરે 25 કરોડ રૂપિયા જેટલી થાય છે. અમને મળેલા રેકોર્ડ મુજબ, રાજેશભાઈ જૈન નામના બિલ્ડર આ 'કુંજ' બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે. તેમણે આ કામ 2022માં શરૂ કર્યું હતું અને અત્યારે પણ ત્યાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ અને કાયદેસરની લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે. કાયદાકીય પ્રક્રિયામાં ઘણીવાર સમય લાગતો હોય છે, પરંતુ અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. 'દેર આયે દુરસ્ત આયે' - અમને આશા છે કે સત્યનો વિજય થશે અને ન્યાયતંત્ર યોગ્ય નિર્ણય છે. કુંજ પ્લાઝા પ્રોજેકટના ડાયરેક્ટર રાહીલ જૈને જણાવ્યું હતું કે, આ જમીન અમે તો ગાયકવાડ અને કંપની પાસેથી દસ્તાવેજ કરીને લીધી હતી. અમે ગેરકાયદેસર જમીન પચાવી પાડી છે તેવા ખોટા આક્ષેપ થઈ રહ્યા છે. એમની પાસે કોઈ પુરાવા નથી. તે લોકોએ જે પુરાવા રજૂ કર્યા છે તે ઓથોરાઇઝ નથી. એ લોકોએ જે માપણીના પુરાવા રજૂ કર્યા છે, આવી કોઈ માપણી માટે અમને જાણ કરવામાં આવી નહોતી. જેથી આ પુરાવા ખોટા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એ લોકોએ પોલો કલબ ના 1000 જેટલા મેમ્બરને લોભાવવા માટે અને ચૂંટણીમાં જીતવા માટે આ ખોટો મુદ્દો ઉછાળ્યો છે. એમની પાસે ડેવલપમેન્ટનો કોઈ મુદ્દો નથી. જેથી આ પ્રકારના ખોટા મુદ્દા ઉઠાવીને તેઓ મેમ્બર પાસે જવા માંગે છે અને ચૂંટણી જીતવા માંગે છે. લોવર કોર્ટ અને ફર્સ્ટ અપિલમાં પણ તેઓ હારી ગયા હતા. છેલ્લા 3 વર્ષથી હાઇકોર્ટમાં કેસ ચાલે છે પરંતુ તેમના કોઈ માણસ તારીખમાં હાજર રહેતા નથી અને કેસને ખેંચવાનો પ્રયાસ કરે છે. તેમનો કેસ હજી કોર્ટમાં એડમિટ પણ થયો નથી. આ ઘટનાથી મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. હું એમની પર કરોડો રૂપિયાના ડેફરમેશન દાવો કરવાની પ્રક્રિયા શરૂ કરું છું.
Read Original Article →