વડોદરામાં પીએમ મોદીની અપીલની અસર:ભાજપ સાંસદ ડૉ.હેમાંગ જોષી ઈલેક્ટ્રિક વ્હિકલ લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરવા સલાહ આપી

Gujarat5/16/2026, 9:20:41 AM
વડોદરામાં પીએમ મોદીની અપીલની અસર:ભાજપ સાંસદ ડૉ.હેમાંગ જોષી ઈલેક્ટ્રિક વ્હિકલ લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરવા સલાહ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંપ્રત વૈશ્વિક સ્થિતિને ધ્યાને લઇ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશ પર અંકુશ મુકવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને અને સમાજમાં સકારાત્મક સંદેશો પહોંચાડવાના હેતુથી વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહન લઈને પહોંચ્યા હતા. વડાપ્રધાનની દેશને એકજુથ થવાની અપીલ હાલમાં વિશ્વ સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે પેટ્રોલ-ડીઝલમાં અછત ઉભી થઈ શકે છે. આ ઉપરાંત આર્થિક કટોકટીને પહોંચી વળવા પ્રધાનમંત્રીએ દેશને એકજુથ થવાની અપીલ કરી છે. પેટ્રોલ-ડીઝલનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા માટે વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી છે. જેના ભાગરૂપે વડોદરાના સાંસદ હેમાંગ જોષી ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગ તરફ વળ્યાં છે. આજે કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠકમાં ભાગ લેવા ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) લઈને પહોંચ્યા હતા. તેમણે આ સાદગી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. પોતાના કાર્યક્રમોમાં મહત્તમ ઇવીનો ઉપયોગ કરશે આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, આ ઇલેક્ટ્રિક વાહન વાસ્તવમાં તેમના પત્નીનું છે. આજે તેમના પત્નીને નોકરી પર જવાનું ન હોવાના કારણે વાહન ઘરે જ ઉપલબ્ધ હતું, જેથી તેઓ આ બેઠકમાં આવવા માટે ઈવીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પર્યાવરણને બચાવવા માટે અને દેશનું ઈંધણ બચાવવા માટે આપણા સૌની સામૂહિક જવાબદારી બને છે. આગામી સમયમાં પણ જ્યારે જ્યારે તેમની પાસે આ ઇલેક્ટ્રિક વ્હિકલ ઉપલબ્ધ હશે, ત્યારે ત્યારે તેઓ પોતાના જાહેર કાર્યક્રમો, સરકારી બેઠકો અને સ્થાનિક મુલાકાતો માટે આ ઈવીનો જ મહત્તમ ઉપયોગ કરશે. 'લોકોએ પણ વડાપ્રધાનના આહવાનમાં સહયોગ આપવો જોઈએ' સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને સાંપ્રત સ્થિતિને ધ્યાને લઈને અપીલ કરી છે. ત્યારે લોકોએ પણ વડાપ્રધાનના આહવાનમાં સહયોગ આપવો જોઈએ. બને એટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત એક વાહન ઉપર બે મિત્રએ જવું જોઈએ જેથી એક વાહનનું ઇંધણ બચી શકે. બને તેટલો પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
Read Original Article →