ધારાસભ્ય યોગેશ પટેલ અંતિમ સફરે:પાર્થિવ દેહને ખાસવાડી સ્મશાન લઈ જવાશે, સંઘવી-વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Gujarat6/4/2026, 4:09:21 AM
ધારાસભ્ય યોગેશ પટેલ અંતિમ સફરે:પાર્થિવ દેહને ખાસવાડી સ્મશાન લઈ જવાશે, સંઘવી-વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા
વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, 2 જૂનના રોજ નિધન થયું હતું. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ લોકનેતાની અંતિમક્રિયા આજે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કરવામાં આવશે. વરિષ્ઠ નેતાની અંતિમયાત્રામાં વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હજારોની સંખ્યામાં સમર્થકો જોડાશે. યોગેશ પટેલની સ્મશાનયાત્રા કારેલીબાગ સ્થિત 'અમદાવાદી પોળ' ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને શહેરના ખાસવાડી સ્મશાન ખાતે તેઓના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે. જે રૂટ પરથી અંતિમયાત્રા પસાર થવાની છે, તે આખા માર્ગ પર યોગેશ પટેલના મોટા-મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવવામાં આવ્યા છે. અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટી પડવાની સંભાવનાને પગલે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યના સૌથી સિનિયર ધારાસભ્યોમાં જેમની ગણના થતી હતી તેવા યોગેશ પટેલનો વિધાનસભામાં તમામ પક્ષના નેતાઓ સાથે અંગત ઘરોબો હતો. આથી, અંતિમયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપે એવી પ્રબળ શક્યતા છે. મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ પ્રદેશ ભાજપના અગ્રણી જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજો વડોદરા આવી પહોંચશે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી. પરંતુ 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે.
Read Original Article →