કોમ્પ્યુટર ટ્રેનર વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો:2 શખસે ફર્નિચરના ધંધા માટે 1 લાખ આપ્યા બાદ ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી કરી, ગેરેજમાંથી સામાન અને લેપટોપ લઈ ગયા

Gujarat6/9/2026, 5:13:53 AM
કોમ્પ્યુટર ટ્રેનર વ્યાજખોરોના ચુંગલમાં ફસાયો:2 શખસે ફર્નિચરના ધંધા માટે 1 લાખ આપ્યા બાદ ચક્રવૃદ્ધિ વ્યાજની માંગણી કરી, ગેરેજમાંથી સામાન અને લેપટોપ લઈ ગયા
વડોદરામાં 2 વ્યાજખોરોએ કોમ્પ્યુટર ટ્રેનરને વ્યાજે રૂપિયા આપ્યા બાદ અતિશય વ્યાજ વસૂલ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગેરેજમાંથી સામાન અને લેપટોપ લઈ ગયા હતાં. આ મામલે 2 શખ્સ સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કોમ્પ્યુટર ટ્રેનરે 10 ટકા વ્યાજે 1 લાખ લીધા વડોદરા શહેરના બિલ વિસ્તારમાં આવેલા એન્જલબ્લીસમાં રહેતા કોમ્પ્યુટર ટ્રેનર ચંદનભાઈ અશોકભાઈ વિશ્વકર્મા (ઉ.વ. 26)એ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, એપ્રિલ-2024 દરમિયાન તેઓ તેમના ભાઈ નિલેશ વિશ્વકર્માની અટલાદરા પોલીસ ચોકી સામે આવેલી એન.ફોર્ચ સ્ટેશન નામની દુકાને જતા હતા. ત્યાં ગાડી રિપેરિંગ માટે આવતા વિકાસ સુરેન્દ્રસિંહ રાજપુત અને તેના મિત્ર ભરત પ્રધાનાની સાથે તેમની ઓળખાણ થઈ હતી. ચંદનભાઈએ ફર્નિચરના ધંધા માટે નાણાંની જરૂરિયાત અંગે વાત કરતાં બંને શખસોએ મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ અક્ષર ચોક ખાતે ભરત પ્રધાનાની સાથે મુલાકાત દરમિયાન તેમના ઘરનું ફર્નિચરનું કામ રૂ.11 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું, જે કામ ચંદનભાઈએ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન ધંધા માટે 1 લાખ રૂપિયાની જરૂરિયાત પડતાં ભરત પ્રધાનાનીએ 10 ટકા વ્યાજે રકમ આપવાની વાત કરી હતી. 90 હજાર રોકડા આપ્યા ને 10 હજાર વ્યાજના કાપ્યા જૂન-2024માં વિકાસ રાજપુત અને ભરત પ્રધાનીએ 90 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને 10 હજાર રૂપિયા વ્યાજ તરીકે કાપી લીધા હતાં. સુરક્ષા તરીકે ચંદનભાઈએ પોતાની HDFC બેંકનો એક ચેક તેમજ તેમના ભાઈ નિલેશભાઈનો કોટક મહિન્દ્રા બેંકનો એક ચેક આપ્યો હતો. જુલાઈ-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન તેમણે દર મહિને 10 હજાર રૂપિયા મુજબ કુલ રૂ.80 હજાર રોકડા વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ 7 ફેબ્રુઆરી, 2025થી 5 એપ્રિલ, 2025 દરમિયાન 31 હજાર રૂપિયા ભરત પ્રધાનાનીની પત્ની ગીતાબેન પ્રધાનાનીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં. ચક્રવૃદ્ધિ વ્યાજ માગીને જાનથી મારી નાખવાની ધમકી આપી આટલા રૂપિયા ભર્યા પછી પણ વ્યાજની વધુ માંગણી કરવામાં આવી હતી. તેઓ વ્યાજ ચૂકવી શકતા ન હોવાથી વિકાસ રાજપુત અને ભરત પ્રધાનાની તેમના ભાઈના ગેરેજ પર આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. બંનેએ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલવાની વાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ગેરેજનો સામાન તેમજ લેપટોપ લઈ ગયા હતા. બે વ્યાજખોર સામે ગુનો નોંધાયો આરોપીઓએ પોલીસમાં ફરિયાદ કરવાના પરિણામે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓ ડર થઈ ગયા હતા અને તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, હાલમાં વિકાસ રાજપુત વિરુદ્ધ અન્ય ફરિયાદો નોંધાયાની જાણ થતાં તેમણે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →