'અરજદારોનું કામ એક જ ધક્કામાં પતાવો જેથી ઇંધણ બચે':જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદની સૂચના, અલકાપુરી ફ્લાય ઓવરના કામ અંગે કેયુર રોકડિયાએ માહિતી માગી

Gujarat5/16/2026, 11:51:54 AM
'અરજદારોનું કામ એક જ ધક્કામાં પતાવો જેથી ઇંધણ બચે':જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદની સૂચના, અલકાપુરી ફ્લાય ઓવરના કામ અંગે કેયુર રોકડિયાએ માહિતી માગી
વડોદરા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સાંસદ અને ધારાસભ્યોએ સરકારી અધિકારીઓને લોકાભિમુખ વહીવટ કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યોએ પણ પોતપોતાના વિસ્તારના કામો અંગે રજૂઆત અને માહિતી મેળવી હતી. અરજદારોનું કામ એક જ ધક્કામાં પૂરું થાય તેવા પ્રયાસો કરો સાંસદે બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં પોતાના કામ અર્થે આવતા અરજદારોને ખોટા ધક્કા ખાવા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વન ડે ગવર્નન્સ (એક જ દિવસમાં વહીવટ) પ્રણાલી હેઠળ કામગીરી કરવામાં આવે. જો અરજદારોનું કામ એક જ ધક્કામાં પૂરું થઈ જશે, તો તેમના સમયની સાથે વારંવાર કચેરીઓના ચક્કર લગાવવામાં વપરાતા કિંમતી ઇંધણની પણ બચત થશે. જે પર્યાવરણ અને આર્થિક બંને રીતે ફાયદાકારક છે. અધિકારીઓએ પ્રજાના પ્રશ્નો પ્રત્યે વધુ સંવેદનશીલ બનીને તેમની અરજીઓનો સકારાત્મક અને ઝડપી નિકાલ કરવો જોઈએ જેથી સામાન્ય નાગરિકોનો સરકારી તંત્ર પરનો ભરોસો વધુ મજબૂત અને. રિંગરોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના સાંસદે જણાવ્યું હતું કે, શહેરની ફરતે રિંગરોડ કે જેનો કેટલોક હિસ્સો વનવિભાગની થોડી પરવાનગીના કારણે અટક્યો છે, તે પૂર્ણ કરી મંજૂરી મેળવી રિંગરોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સાવલી, વાઘોડિયા સહિતના તાલુકાઓમાં જ્યાં ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે, ત્યાં આંગણવાડીના મકાનો બનાવવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે. વિવિધ તાલુકાઓના નાના મોટા પ્રશ્નો અંગે પણ સાંસદ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી અને સૂચના આપવામાં આવી હતી. અલકાપુરી રેલવે બ્રીજનું કામ કયા સ્ટેજ ઉપર પહોંચ્યું? સંકલનની બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સ્થાનિકોની સમસ્યાઓ અને વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે રજૂઆત કરવામાં આવી હતી. અલકાપુરી રેલવે ઓવરબ્રિજ તેમજ ઊંડેરા-કરોડિયા, દેસાઈપુરા અને છાણી તરફ નીકળતા રેલવે ઓવરબ્રિજના કામો કયા સ્ટેજ પર પહોંચ્યા છે, કયા ટેન્ડર મંજૂર થયા છે અને કઈ પ્રક્રિયા ચાલુ છે તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત અલકાપુરી વિસ્તારમાં હરિપુરા ગામના કેટલાક ગરીબ પરિવારોના રેશનકાર્ડમાં અનાજ મળતું બંધ થઈ ગયું હોવાની બાબત સામે આવતા, ધારાસભ્યએ આ અંગે સત્વરે સર્વે કરાવીને લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી. છાણી કેનાલના ગાબડાનું સમારકામ ત્વરિત કરાવવા તાકીદ ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, છાણી નર્મદા કેનાલમાં પડેલા ગાબડાના કારણે ટીપી-13 વિસ્તારમાં પાણી ઘૂસી જવાનો ભય હોવાથી, તેનું યુદ્ધના ધોરણે સમારકામ કરવા તંત્રને તાકીદ કરી હતી. જેના પર કલેક્ટરે હકારાત્મક પ્રતિસાદ આપી ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોરવા, લક્ષ્મીપુરા, અંકોડિયા અને કોયલી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ લોડ વધવાને કારણે વારંવાર થતા ટ્રીપિંગ અને વાયરો બળી જવાની ગંભીર સમસ્યા અંગે પણ તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું. વીજ ક્ષમતા વધારવા અને લક્ષ્મીપુરા ખાતે નવું સબસ્ટેશન ઝડપથી કાર્યરત કરવા ભાર મૂક્યો હતો.
Read Original Article →