વડોદરાના પૂર્વ વિસ્તારની ડઝનબંધ સોસાયટીઓમાં પાણીનો કકળાટ:કેટલાક વિસ્તારમાં તો સવારે વપરાશ માટેનું પણ પાણી નહીં, અધિકારીઓના મતે સબ સલામત

Gujarat6/8/2026, 11:11:38 AM
વડોદરાના પૂર્વ વિસ્તારની ડઝનબંધ સોસાયટીઓમાં પાણીનો કકળાટ:કેટલાક વિસ્તારમાં તો સવારે વપરાશ માટેનું પણ પાણી નહીં, અધિકારીઓના મતે સબ સલામત
સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં હાલ પાણીનો ભયંકર કકળાટ જોવા મળી રહ્યો છે. ઉનાળાના આકરા તાપની વચ્ચે પૂર્વ વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લોકોને પીવાનું શુદ્ધ પાણી તો દૂર, રોજિંદા વપરાશ માટેના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાની ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકો પાણીના એક-એક ટીપાં માટે વલખા મારે તે વડોદરા મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. અનેક સોસાયટીઓમાં પાણીના અભાવે પ્રજા પરેશાન આજવા રોડ અને વાઘોડિયા રોડ પર આવેલી ડઝનબંધ સોસાયટીઓમાં છેલ્લા કેટલાય સમયથી કાં તો પાણી આવતું જ નથી, અને જો આવે છે તો તદ્દન અપૂરતા દબાણથી અથવા દૂષિત આવે છે. આ વિસ્તારના રહીશો લાંબા સમયથી આ હાલાકી વેઠી રહ્યા છે અને તંત્રને રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ વ્યાપેલો છે. કોર્પોરેશનના અધિકારીઓની શહેરમાં સબ સલામત હોવાની ગુલબાંગો નવાઈની વાત તો એ છે કે, એક તરફ જનતા પાણી વિના ત્રાહિમામ પોકારી રહી છે અને બુમરાણ મચાવી રહી છે, ત્યારે બીજી તરફ એરકન્ડિશન્ડ કેબિનોમાં બેસતા કોર્પોરેશનના અધિકારીઓ શહેરમાં સબ સલામત હોવાની ગુલબાંગો ફૂંકી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગની આ કુંભકર્ણી નિદ્રા અને જમીની વાસ્તવિકતા વચ્ચે આભ-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એવી મોટી સમસ્યા નથી. પાણી કાપની જે જાહેરાત કરવામાં આવી છે તે જરૂર પડ્યે કરવામાં આવશે. અધિકારીઓની ઉદાસીનતાના કારણે પ્રજાએ વેઠવાનો વારો આવ્યો અધિકારીઓની આ ઉદાસીનતા અને નિષ્ક્રિયતા સામે આજે લોકોના ધીરજનો બંધ તૂટ્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 4 ના રહીશોએ આખરે કંટાળીને વોર્ડ કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને જોરદાર હલ્લો બોલાવ્યો હતો. સૂત્રોચ્ચારો અને આક્રોશ સાથે સ્થાનિકોએ તંત્રના કાન ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા પ્રજા એવો અહેસાસ કરી રહી છે કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મસમોટો પગાર લેતા અધિકારીઓમાંથી તેઓનું સાંભળવા વાળું કોઈ જ નથી. કોંગ્રેસ પાણીના મુદ્દે આંદોલન કરશે ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતી કોર્પોરેશન પ્રજાને પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જો આગામી દિવસોમાં આ જળ કટોકટીનો કાયમી ઉકેલ નહીં આવે, તો પૂર્વ વિસ્તારની જનતાનો આક્રોશ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ મુદ્દે કોંગ્રેસના શહેર પ્રમુખ પણ મેદાને આવ્યા છે.તેઓએ કોર્પોરેશન ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન લોકોને પૂરતું પાણી પણ નથી આપી શકતું. લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ નથી કરી શકતું. માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં પણ કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે. કોંગ્રેસ પાણીના મુદ્દે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. ટીપી 13માં દુષિત પાણીના કારણે લોકોમાં ભારે આક્રોશ છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા ટીપી 13 વિસ્તારમાં રહેતા રહીશો પણ છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણીના કારણે પરેશાન જોવા મળી રહ્યા છે. રહીશો આજે વોર્ડ કચેરી ખાતે પહોંચ્યા હતા જો કે કચેરી ખાતે તેઓને કોઈ અધિકારી મળ્યા ન હતા. રહીશોએ આક્ષેપ કર્યા છે કે, તેઓ દ્વારા જયારે રજૂઆત કરવામાં આવે તો ગોળ ગોળ જવા આપવામાં આવે છે અને કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવતું નથી.
Read Original Article →