દહેજનો દાનવ દીકરીને ભરખી ગયો:વડોદરામાં લગ્નમાં 41 લાખની રોકડ-વસ્તુ આપવા છતાં વધુ 25 લાખ માંગ્યા; PM રિપોર્ટમાં ઝેરી કન્ટેન્ટ મળતા વિશેરા લેવાયા
વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતી એક પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુરના વતની અને હાલ મધ્યપ્રદેશમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા વિશ્વપ્રતાપસિંહ સિંઘે પોતાની બહેન મમતાસિંહના મોત મામલે સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. મોટી રકમ દહેજ પેટે આપી હતી
ફરિયાદીના જણાવ્યા અનુસાર, મમતાસિંહના લગ્ન 26 જાન્યુઆરી 2025ના રોજ વડોદરાના સોમાતળાવ પાસે રહેતા આશુતોષ મુકેશભાઈ ઠાકોર સાથે થયા હતા. લગ્ન પ્રસંગે પિયર પક્ષ દ્વારા દીકરીને સુખ-શાંતિ રહે તે માટે 3 લાખ રોકડા, 12 તોલા સોનાના દાગીના, હીરાની વીંટી તેમજ જમાઈને ફોર-વ્હીલર ગાડી ખરીદવા માટે 20 લાખ રૂપિયા જેવી મોટી રકમ દહેજ પેટે આપવામાં આવી હતી. 25 લાખ લાવવા દબાણ કરતા ને જમવાનું આપતા નહીં
લગ્નના ટૂંકા ગાળામાં જ સાસરી પક્ષ દ્વારા મમતાસિંહને વધુ 25 લાખ રૂપિયા પિયરથી લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાએ તેના ભાઈને જણાવ્યું હતું કે તેની સાસુ અને પતિ તેને મેણાં-ટોણાં મારી મારઝૂડ કરતા હતા. પતિ દ્વારા અન્ય યુવતી સાથે સંબંધ હોવાની ધમકી આપી છૂટાછેડા લેવા માટે પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, તેને જમવાનું ન આપી ભૂખી રાખીને કામવાળીની જેમ રાખવામાં આવતી હતી. સસરાનો ફોન આવ્યો કે મમતાનું ઓક્સિજન લેવલ ઘટી ગયું છે
9 મે 2026ના રોજ મમતાસિંહના સસરા મુકેશભાઈએ ફોન દ્વારા જાણ કરી હતી કે મમતાનું ઓક્સિજન લેવલ ઘટી જવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી છે, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે. પિયર પક્ષે આક્ષેપ કર્યો છે કે દહેજની માંગણી પૂરી ન થતા મમતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. હાલમાં એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી લાશનો કબ્જો મેળવી અંતિમ વિધિ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સાસરિયાઓ સામે ગુનો નોંધાયો
આ મામલે પાણીગેટ પોલીસ મથકમાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં પતિ આશુતોષ મુકેશભાઈ ઠાકોર, સસરા મુકેશભાઈ ઠાકોર સહિત સાસુ આરતીબેન મુકેશભાઈ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસની માગ કરી છે. પીએમ રિપોર્ટમાં ઝેરી કન્ટેન્ટ મળતા વિશેરા લેવાયા
આ બનાવ અંગે પાણીગેટ પોલીસ મથકના પી આઈ એ.બી.પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે અમે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં મૃતક પરિણીતાનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ પીએમ રિપોર્ટમાં ઝેરી કન્ટેન્ટ મળ્યું છે, છતાં વિશેરા લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં આરોપીની અટક કરવામાં આવશે.
Read Original Article →