શનિ જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી:વાડીના શનિદેવ મંદિરના દ્વાર સવારે શરણાઈના સૂર સાથે ખુલશે, 5:30 કલાકે મંગળા આરતી થશે
વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક શનિદેવ મહારાજના મંદિરે આગામી શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે શનિ જયંતી અમાસ અને શનિવારના દુર્લભ સંયોગમાં આવતી હોવાથી તેનું વિશેષ મહાત્મ્ય જોવા મળી રહ્યું છે. જ્યોતિષાચાર્ય શ્લોક દવેના જણાવ્યા અનુસાર, આ દિવસે ભરણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગનો સમન્વય છે. શનિદેવ ન્યાયના દેવ હોવાથી અશિસ્ત અને અનૈતિક પ્રવૃત્તિ કરનારાઓ માટે આ સમય ચેતવણીરૂપ ગણાય છે. મંદિરે સવારે 5:30 કલાકે શરણાઈના સૂર સાથે દ્વાર ખુલશે અને મંગળા આરતી થશે. ત્યાર બાદ સવારે 6:30 કલાકે રિધમકુમારના સ્વરે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે. બપોરે 11:30 કલાકે જન્મ અભિષેક પૂજન અને 12:30 કલાકે જન્મ આરતી કરાશે. સાંજે 5:30 કલાકે અન્નકૂટ આરતી અને દર્શન યોજાશે. સાંજે 7 :00 કલાકે જાણીતા ગાયક જિજ્ઞેશ શાહ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3:30થી 5:30 દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે. કાળા રંગની વસ્તુઓના ભાવમાં વધારો થશે દૂધ-દહીં જેવી સફેદ વસ્તુના પણ ભાવ વધશે
જ્યોતિષાચાર્યના મતે શનિ જયંતીના દિવસે રાત્રે 10:48 સુધી મેષ રાશિ રહેશે અને વૃષભ સંક્રાંતિ વ્યાપ્ત રહેશે. આ સંક્રાંતિના કારણે સામાજિક તકલીફો જોવા મળી શકે છે. બજારમાં કાળા રંગની વસ્તુઓ જેવી કે તલ, અડદ,અને તેલના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે દૂધ-દહીં જેવી સફેદ વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. શનિ પીડા કે પનોતીના નિવારણ માટે ગરીબોને સ્ટીલના વાસણનું દાન કરવું
શનિ પીડા કે પનોતીમાંથી રાહત મેળવવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ આ દિવસે તેલ, અડદ, કાળા તલ, સ્ટીલના વાસણનું ગરીબોને દાન કરવું હિતાવહ છે. કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રાન્તકો યમ... મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે. તેલ ચોળીને સ્નાન કરવાથી પણ રાહત મળે છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય નિયમબદ્ધ ચાલવું અને ધર્મના રસ્તે ધન કમાવવું છે. 16મીએ જંબુસરના કાવી-કંબોઈના સ્તંભેશ્વર તીર્થ ખાતે શિવભક્તો ઉમટશે
દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે પ્રખ્યાત કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે આગામી 16મી તારીખે શનિવારી અમાસના અનોખા સંયોગ વચ્ચે શિવભક્તોનો મેળાવડો જામશે. વર્ષ 2026ની આ પ્રથમ શનિશ્ચરી અમાસ હોવાથી તેને ભાવુકા અમાસ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલું આ તીર્થ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્તંભેશ્વર તીર્થની વિશેષતા એ છે કે અહીં મહીસાગર, સાબરમતી, મેશ્વો, ખારી, ચંદ્રભાગા, શેઢી, વાત્રક અને હાથમતી જેવી 8 નદીઓનો અરબી સમુદ્ર સાથે સંગમ થાય છે. આ પવિત્ર સ્થાને દરિયાદેવ દિવસમાં બે વાર સ્વયં મહાદેવનો જળાભિષેક કરે છે. ગ્રંથોમાં આ દિવસને સ્નાન-દાનનું મહાપર્વ ગણાવ્યું છે. પિતૃગણ સ્વામી ગણાતી અમાસ તિથિએ મહાદેવના દર્શનનો સમય સવારે 9થી સાંજે 3:30 વાગ્યા સુધીનો રહેશે આ શુભ સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે. આ દિવસે શિવલિંગ પર દૂધ, જળ, બિલિપત્ર, આંકડાના ફૂલ, ધતુરો ચઢાવી શકાશે.
Read Original Article →