જિલ્લા પંચાયતની વડુ બેઠક પર AAPની ટિકિટ ફાળવણીથી વિવાદ:મહિલાના પતિએ કહ્યું 'અમને જાણ બહાર ટિકિટ ફાળવણી કરી, AAP સાથે અમારે કોઈ સંબંધ કે હોદ્દો નથી'
વડોદરાના પાદરા તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP)એ જિલ્લા પંચાયતની વડુ બેઠક પર ટિકિટ ફાળવણી કરતા વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ વડુ બેઠક માટે ભાજપના નેતાના પત્ની કાંતાબેન પઢીયારને ટિકિટ ફાળવી હોવાનું સામે આવ્યું છે. જે મુદ્દે ભાજપ નેતા નટવરસિંહ પઢીયારે કહ્યું કે અમને જાણ બહાર ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી છે.અમારે આપ સાથે કોઈ સંબંધ નથી અને ચૂંટણી લડવાની પણ નથી. AAPની ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ
કાંતાબેન પઢીયારના પતિ નટવરસિંહ પયાર વડુ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. જોકે, આ ટિકિટ ફાળવણીને લઈને સ્થાનિક સ્તરે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. નટવરસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીએ તેમની જાણ બહાર આ નિર્ણય લીધો છે. આ સાથે જ નટવરસિંહ પઢીયાર ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં આપે ટિકિટ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ, કાંતાબેન પઢીયારે તેમને ફાળવવામાં આવેલી ટિકિટનો અસ્વીકાર કર્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અમારે ચૂંટણી લડવાની નથી:નટવરસિંહ પઢિયાર
આમ આદમી પાર્ટીની ટિકિટ ફાળવણી અંગે નટવરસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતો માણસ છું. આમ આદમી પાર્ટીએ અમારી જાણ બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે આ ચૂંટણી લડવી નથી. અમારે આમ આદમી પાર્ટી સાથે કોઈ જ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ નથી. મારી પત્નીની તબિયત થોડી નબળી હોવાથી અમે આ ચૂંટણી લડી શકીએ તેમ નથી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સમાચાર આવ્યા ત્યારે જ અમને આ વાતની ખબર પડી. અમે તો ટિકિટ માટે કોઈ માંગણી પણ કરી નહોતી. જે રીતે પાર્ટીએ ટિકિટ ફાળવી છે તે એકદમ અયોગ્ય છે.
Read Original Article →