MSUની સાયન્સ ફેકલ્ટીમાં ફી વધારા-બેઠક ઘટાડા સામે ABVPનો વિરોધ:ડીનની ખાલી ખુરશી સામે બેસી રામધુન, માગ પૂરી નહીં થયા તો ઉગ્ર આંદોલનની ચીમકી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં BCA વિભાગ દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયોને પગલે વિદ્યાર્થી રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સાયન્સ ફેકલ્ટીમાં કરવામાં આવેલા 28% ફી વધારા અને પ્રવેશ બેઠકોમાં 50% ના ઘટાડા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારે સૂત્રોચાર સાથે ડીન ન મળતા ખુરશી સામે બેસી નારેબાજી અને રામધૂન બોલવાઈ માંગણી ન સંતોષાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વિરોધના મુખ્ય મુદ્દાઓ
આ અંગે એબીવીપીઅધ્યક્ષ વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અમારી માગણીઓ છે કે BCA વિભાગમાં તાજેતરમાં કરવામાં આવેલો 28% જેટલો તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. સાથે છેલ્લા પાંચ વર્ષથી BCA વિભાગમાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે તેને ઘટાડીને માત્ર 120 કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી શકે છે. ડીનનો તર્ક અને ABVPનો વળતો પ્રહાર
યુનિવર્સિટીના ડીન દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગની ક્ષમતા મુજબ માત્ર 120 વિદ્યાર્થીઓને જ સમાવી શકાય તેમ છે. આ અંગે વળતો પ્રહાર કરતા ABVPએ જણાવ્યું કે, જો છેલ્લા પાંચ વર્ષથી 240 વિદ્યાર્થીઓ કોઈપણ સમસ્યા વગર અભ્યાસ કરી શકતા હતા, તો અત્યારે અચાનક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદા કેવી રીતે નડી રહી છે? ABVP દ્વાઉગ્ર આંદોલનની ચીમકી
ABVP દ્વારા ત્રણ દિવસ પહેલા પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ હકારાત્મક ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા. વેદ ત્રિવેદીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વિદ્યાર્થીઓની આ ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ABVP દ્વારા આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
Read Original Article →