MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ટેક્નિકલ ખામીનો વિરોધ:1760 વિદ્યાર્થી ડિસક્વોલિફાય થતાં ABVPએ ડીનનો ઘેરાવ કર્યો, કહ્યું-જીકાસ અને ફેકલ્ટી એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે

Gujarat6/3/2026, 2:43:37 PM
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષાના પરિણામમાં ટેક્નિકલ ખામીનો વિરોધ:1760 વિદ્યાર્થી ડિસક્વોલિફાય થતાં ABVPએ ડીનનો ઘેરાવ કર્યો, કહ્યું-જીકાસ અને ફેકલ્ટી એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે
વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વખત લેવાયેલી પ્રવેશ પરીક્ષાના પરિણામમાં મોટી ટેકનિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જીકાસ પોર્ટલ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં 1760 જેટલા વિદ્યાર્થીઓને કોઈપણ કારણ આપ્યા વિના ડિસક્વોલિફાય કરી દેવાતા અને પરીક્ષા આપનારા અનેક વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવામાં આવતા મામલો ગરમાયો છે. ભારે હોબાળો મચાવતા પોલીસે ABVPના કાર્યકરોની અટકાયત કરી હતી. જીકાસ અને ફેકલ્ટી પ્રશાસન એકબીજાને ખો આપે છે આ ગંભીર ખામીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને કોમર્સ ફેકલ્ટીના ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એબીવીપીના અધ્યક્ષ વેદ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે, જીકાસ અને ફેકલ્ટી પ્રશાસન એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને ખો-ખોની રમત રમી રહ્યા છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. 7મી જૂનના રોજ સુધારા માટે પોર્ટલ પર વિન્ડો ઓપન કરાશે વિદ્યાર્થીઓ અને વાલીઓના આક્રોશ વચ્ચે ફેકલ્ટી ડીને આશ્વાસન આપતા જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે અથવા મોબાઈલ નંબર નાખવામાં ભૂલ કરી છે, તેમના માટે જીકાસના શિડ્યુલ મુજબ આગામી 7મી જૂનના રોજ સુધારા માટે પોર્ટલ પર વિન્ડો ઓપન કરવામાં આવશે. ગત વર્ષ કરતાં પણ 100 વધુ એડમિશન આપવાની તૈયારી દર્શાવી મહારાજા સયાજીરાવ ગાયકવાડના લોકલ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના સ્વપ્નને દોહરાવતા ડીને ખાતરી આપી કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશનમાં પૂરતો ન્યાય મળશે. ફેકલ્ટીએ આ વર્ષે 100 નવી બેન્ચીસનો ઉમેરો કરીને ગત વર્ષ કરતાં પણ 100 વધુ એડમિશન આપવાની તૈયારી દર્શાવી છે, જેથી કોઈ લાયક વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે. એબીવીપીએ ચીમકી આપી છે કે, જો આગામી 7મી જૂન સુધીમાં આ તમામ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો ઉકેલ લાવી ન્યાય આપવામાં નહીં આવે, તો વિદ્યાર્થી પરિષદ આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટી તંત્રની રહેશે. પ્રથમ વખત લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં જ સર્જાયેલી આ ગંભીર ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાયું છે.
Read Original Article →