ભાસ્કર એક્સક્લુસિવ‎:‘રામબાણ’ વનસ્પતિમાંથી બનેલી હાઇડ્રો જેલથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી શુદ્ધ કરાશે

Gujarat4/8/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ‎:‘રામબાણ’ વનસ્પતિમાંથી બનેલી હાઇડ્રો જેલથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી શુદ્ધ કરાશે
મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગે વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરી છે. કોપર ઓક્સાઇડ નેનોપાર્ટિકલ આધારિત ઔદ્યોગિક રંગદ્રવ્ય વિઘટન ક્ષેત્રે સફળ અને નોંધપાત્ર સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં રામબાણ વનસ્પતિમાંથી મળતા સેલ્યુલોઝ આધારિત હાઇડ્રોજેલ મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી ટેક્સટાઈલ અને કેમિકલ ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવાનો સફળ પ્રયોગ કરાયો છે. બોટની વિભાગનાં હેડ પ્રો.પુનિતા પરીખના ગાઇડન્સમાં પીએચડીના રિસર્ચ સ્કોલર નયન નિમાવત દ્વારા પ્રદુષિત પાણીને શુદ્ધ કરવા માટે રામબાણ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી અને પર્યાવરણને નુકસાનકારક રંગ દ્રવ્યોને અસરકારક રીતે દૂર કરવા માટે એક નવીન, ખર્ચ-અસરકારક અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ જેલ મટિરિયલ ઊંચી શોષણ ક્ષમતા અને પ્રતિક્રિયાશીલ સપાટી ધરાવે છે. પ્રો.પુનિતા પરીખે જણાવ્યું કે ભવિષ્યમાં આ ટેકનોલોજીને વધુ વિકસાવીને ઉદ્યોગ સ્તરે અસરકારક રીતે અમલમાં મૂકવાની શક્યતા છે. આ સિદ્ધિ યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે સ્થાન પામી રહી છે. સંશોધનને આંતરરાષ્ટ્રીય જર્નલ સ્પ્રિંગરમાં સ્થાન મળ્યું આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને સ્પ્રિંગરની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયું છે. આ એક સાયન્ટીફીક જર્નલ છે જેમાં સ્પ્રિંગરએ એક વૈશ્વિક પ્રકાશન કંપની છે જે વિજ્ઞાન, ટેકનોલોજી, મેડિસિન, બિઝનેસ અને સોશિયલ સાયન્સ જેવા વિવિધ વિષયો પર પુસ્તકો અને સંશોધન પત્રો પ્રકાશિત કરે છે. ‘રામબાણ’ છોડનું વૈજ્ઞાનિક નામ ટાયફા એંગસ્ટિફોલિયા છે ટાયફા એંગસ્ટિફોલિયા એક વેટલેન્ડ વનસ્પતિ છે, જે નદી, તળાવો, અને ભેજવાળા વિસ્તારોમાં ઉગે છે. આ છોડ દેખાવમાં ઊંચો અને સીધો હોય છે, જેમાં લાંબા, પાતળા લીલા પાન હોય છે. તેની વિશેષતા ભૂરા રંગનો સિલિન્ડર આકારનો ફૂલધડો છે, જે ડાંડીના ઉપરના ભાગે જોવા મળે છે. આ છોડમાં ઉચ્ચ પ્રમાણમાં સેલ્યુલોઝ અને બાયોમાસ હોવાથી તે હાઇડ્રોજેલ તૈયાર કરવા માટે અત્યંત ઉપયોગી રૉ મટિરિયલ છે. તેની કુદરતી ફાઇબરસ રચના તેને ગ્રીન નેનોટેકનોલોજી માટે મહત્વપૂર્ણ બનાવે છે. રામબાણના અતિશય પ્રસારને કારણે કેટલીક જગ્યાઓ પર તે ઉપદ્રવ રૂપે પણ જોવા મળે છે. આ છોડ પર્યાવરણીય સમસ્યાઓને નિયંત્રિત કરવામાં ઉપયોગી નીવડી શકે છે.
Read Original Article →