સિટી એન્કર:સસરાની છેલ્લી ઇચ્છા, પરિવારમાંથી કોઈને કોંગ્રેસની ટિકિટ મળે, પુત્રવધૂનું નામ જાહેર થયું ને કલાકમાં સસરાનું નિધન થતાં ચૂંટણી ન લડવાનો નિર્ણય

Gujarat4/8/2026, 12:00:00 AM
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીની દોડધામ વચ્ચે એક સંવેદનશીલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સસરાના અવસાન બાદ સામાજિક રીતિ-રિવાજ મુજબ સવા મહિના સુધી ઘરની બહાર ન નીકળી શકવાને કારણે વોર્ડ નં. 8નાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે પોતાની જગ્યાએ અન્ય કોઈને ઉમેદવારી કરાવવા માટે પક્ષને ભલામણ કરી છે. શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે વોર્ડ નં. 8માં કરોડિયા ગામનાં ઉર્મિલાબેન હર્ષદભાઈ પરમારને ટિકિટ આપી હતી. તેમના નામની જાહેરાત થઈ તેના માત્ર એક કલાક બાદ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમના સસરા પરસોત્તમભાઈનું નિધન થયું હતું. સસરાના અવસાન બાદ જ્ઞાતિના રિવાજ મુજબ ઉર્મિલાબેન સવા મહિના સુધી ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ફરવું અનિવાર્ય હોવાથી પરિવારે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ઉર્મિલાબેનના સસરા પરસોત્તમભાઈ કરોડિયાના પૂર્વ સરપંચ હતા. તેમની અંતિમ ઈચ્છા હતી કે, પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી પરિવારનું જ કોઈ સભ્ય ઉમેદવારી કરી. તેઓ બે દિવસથી બીમાર હતા. જ્યારે તેમને જાણવા મળ્યું કે, પુત્રવધૂને ટિકિટ મળી છે, તેના એક કલાક બાદ જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉર્મિલાબેન પરમાર અગાઉ બે ટર્મ સુધી તાલુકા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યાં છે કરોડિયા ગામનાં ઉર્મિલાબેનના પતિ હર્ષદ પરમારે આ અંગે જણાવ્યું હતું કે, મારા પિતા 25 વર્ષ સુધી ડેપ્યુટી સરપંચ રહ્યા હતા અને વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમની ઈચ્છા હતી કે, પાલિકાની ચૂંટણીમાં અમારા પરિવારમાંથી કોઈ એક સભ્યને ટિકિટ મળે. આખરે મારી પત્નીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી એટલે તેમની ઈચ્છા તો પૂરી થઈ, પરંતુ હવે સામાજિક મર્યાદાને કારણે મારી પત્ની ચૂંટણી લડી શકશે નહીં. હવે સમાજના અન્ય કોઈ વ્યક્તિ ઉમેદવારી કરે તેવા પ્રયાસો કરીશું. મારી પત્ની અગાઉ 2 ટર્મ સુધી તાલુકા પંચાયતની સભ્ય રહી ચૂકી છે.
Read Original Article →