સોનગઢમાં બાઇક અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ:શનિવારે પૂરઝડપે આવતી બાઇકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું

Gujarat6/7/2026, 8:25:59 AM
સોનગઢમાં બાઇક અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ:શનિવારે પૂરઝડપે આવતી બાઇકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવાણ ગામની સીમમાં શનિવારે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વ્યારા-ખેરવાડા રોડ પર પૂરઝડપે આવતી મોટરસાઇકલે એક રાહદારી આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાસવાણ ગામના આંબા ફળીયામાં રહેતા ૫૬ વર્ષીય સામાભાઈ રામસિંગભાઈ ગામીત શનિવારે સવારે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. તેઓ વ્યારા-ખેરવાડા રોડ પર જયેશભાઇ ચુનીલાલભાઇના ખેતર સામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી ગનાભાઇ લાશાભાઇ ગામીત પોતાની મોટરસાઇકલ (નં. GJ-26-F-0785) પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો. તેણે સામાભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સામાભાઈને ડાબા પગે અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે પુષ્કળ લોહી વહી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી પોતાની મોટરસાઇકલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પુત્ર સુનિતભાઈ સામાભાઈ ગામીતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાજર લોકો અને એક સાક્ષી પાસે રહેલા મોટરસાઇકલ ચાલકના ફોટોગ્રાફના આધારે આરોપી ગનાભાઇ લાશાભાઇ ગામીતને ઓળખી કાઢવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ, મૃતદેહને સોનગઢ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પી.એમ. રૂમમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
Read Original Article →