વન વિભાગના 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી અપાઈ:સુરેન્દ્રનગરમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત
સુરેન્દ્રનગરમાં શહેરને લીલુંછમ અને સ્વચ્છ બનાવવાના હેતુથી પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ 'વૃક્ષ રથ'ને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવશે અને વિનામૂલ્યે અથવા રાહત દરે રોપાઓનું વિતરણ કરશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરને કચરામુક્ત બનાવવાના હેતુથી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેની '4-બિન' પદ્ધતિની સમીક્ષા કરવામાં આવી હતી. મહાનુભાવોએ કચરાના વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતી ચાર અલગ-અલગ રંગની કચરાપેટીઓની કાર્યપદ્ધતિ અંગે માહિતી મેળવી હતી. આ પદ્ધતિ દ્વારા સૂકો, ભીનો, જોખમી અને ઈ-વેસ્ટ કચરો અલગ પાડીને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, કોલેજનો સ્ટાફ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સુરેન્દ્રનગરને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના શપથ લીધા હતા.
Read Original Article →