ગુરુદેવો મુંબઈ ચાતુર્માસ પૂર્ણ કરી લીંબડી પધાર્યા:સુરેન્દ્રનગરના શ્રાવકોએ લીંબડી સુધી પદયાત્રા કરી ગુરુભક્તિ દર્શાવી
મુંબઈમાં ત્રણ ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ પૂજ્ય ડૉ. નિરંજનમુનિજી મહારાજ સાહેબ અને પૂજ્ય ચેતનમુનિજી મહારાજ સાહેબ લીંબડી ખાતે ગુરુગાદી પર પરત ફર્યા છે. આ પ્રસંગે સુરેન્દ્રનગરના પાંચ શ્રાવકોએ લીંબડી સુધી પદયાત્રા કરીને ગુરુભક્તિ વ્યક્ત કરી હતી. અજરામર સંપ્રદાયના આ પરમ પૂજ્ય ગુરુદેવોએ મુંબઈ નગરીમાં ત્રણ ઐતિહાસિક ચાતુર્માસ મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. તેઓ દાદાગુરુના પવિત્ર ધામ લીંબડી ખાતે પધારતા જૈન સમાજમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુદેવોના આગમનના આ મંગલમય પ્રસંગે સુરેન્દ્રનગર અજરામર એક્ટિવ અશોર્ટ (AAA) ગ્રુપના પાંચ શ્રાવકો - દિપેન શાહ, ધવલ શાહ, નિશા શાહ, વૈશાલી શાહ અને શીતલ શાહ - એ પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી. તેમણે સુરેન્દ્રનગરથી લીંબડી સુધીની કઠિન પદયાત્રા કરી હતી. આ ગુરુભક્તોએ રાત્રે ૧૧ વાગ્યે સુરેન્દ્રનગરથી પદયાત્રા શરૂ કરી હતી અને સવારે ૭ વાગ્યે લીંબડી ખાતે ગુરુદેવના સામૈયામાં પહોંચીને દર્શનનો લાભ લીધો હતો. સુરેન્દ્રનગરથી પગપાળા ચાલીને લીંબડી ધામ પહોંચેલા પાંચેય ગુરુભક્તોએ શાસન પ્રભાવક પૂજ્ય ગુરુદેવોના દર્શન-વંદન કરીને સંતોષ અનુભવ્યો હતો. ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકા સંઘે તેમની આ પદયાત્રા અને શ્રદ્ધાને બિરદાવી હતી.
Read Original Article →