સુરેન્દ્રનગરમાં NH પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સમીક્ષા:કેન્દ્રીય સચિવની ગુજરાત મુલાકાત પૂર્વે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાઈ
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવની આગામી ગુજરાત મુલાકાત પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના જમીન સંપાદનની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગના સચિવ (જમીન સુધારણા)ના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જી. એચ. સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાંથી પસાર થતા વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટ્સ અને તેના સંબંધિત જમીન સંપાદનની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. સચિવ (જમીન સુધારણા) દ્વારા જમીન સંપાદનની કામગીરી કયા તબક્કે પહોંચી છે, વળતર ચૂકવણીની સ્થિતિ અને પડતર પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. તેમણે જમીન સંપાદનના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સુમેળભર્યા સંકલન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના સંબંધિત મહેસૂલી અધિકારીઓ, જમીન સંપાદન અધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને જિલ્લાની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો.
Read Original Article →