સુરેન્દ્રનગરમાં મોબાઈલ વેપારીઓ માટે રજિસ્ટર ફરજિયાત:ચોરીના મોબાઈલ અને ગુના રોકવા જાહેરનામું

Gujarat4/9/2026, 4:32:14 AM
સુરેન્દ્રનગરમાં મોબાઈલ વેપારીઓ માટે રજિસ્ટર ફરજિયાત:ચોરીના મોબાઈલ અને ગુના રોકવા જાહેરનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં મોબાઈલ ફોનની ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા હેઠળ, જિલ્લાના તમામ નવા-જૂના મોબાઈલ ફોન વેચનારા, રિપેર કરનારા અને સોફ્ટવેરનું કામ કરતા વેપારીઓ માટે રજિસ્ટર નિભાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પગલું ગુનાઓમાં વપરાતા મોબાઈલ ફોન અને ચોરીના બનાવોમાં ગુનેગારો સુધી ઝડપથી પહોંચવામાં પોલીસને મદદ કરશે. સામાન્ય રીતે, ગુનાઓમાં વપરાયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોનના IMEI નંબર ટ્રેક કરીને પોલીસ તપાસ કરે છે. જોકે, ઘણીવાર અજાણ્યા વ્યક્તિઓ ઓળખ આપ્યા વગર રસ્તા પરના ફેરિયાઓ કે દુકાનદારોને મોબાઈલ વેચી દેતા હોય છે, જેના કારણે મૂળ ગુનેગાર સુધી પહોંચવામાં પોલીસને મુશ્કેલી પડે છે. આ સમસ્યાને નિવારવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, વેપારીઓએ મોબાઈલ ફોન વેચનાર, ખરીદનાર કે રિપેર કરાવવા આવનાર ગ્રાહકનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોનનો મોડેલ નંબર અને IMEI નંબર જેવી તમામ વિગતો રજિસ્ટરમાં નોંધવી પડશે. આ ઉપરાંત, ગ્રાહક પાસેથી ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે અન્ય માન્ય ઓળખ પુરાવાની નકલ મેળવી તેની અલગ ફાઈલ બનાવવી પડશે અને ગ્રાહકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ લેવાનો રહેશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વેપારી કે વ્યક્તિ આ આદેશોનું ઉલ્લંઘન કરશે અથવા તેમાં મદદગારી કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ અને શિક્ષા કરવામાં આવશે.
Read Original Article →