અમેરિકી સ્કોલર જાસમીન બેન સુરેન્દ્રનગર પહોંચ્યા:કાલા કોટન પર સંશોધન માટે ખેતીવાડી કચેરીની મુલાકાત લીધી

Gujarat5/16/2026, 10:45:11 AM
અમેરિકી સ્કોલર જાસમીન બેન સુરેન્દ્રનગર પહોંચ્યા:કાલા કોટન પર સંશોધન માટે ખેતીવાડી કચેરીની મુલાકાત લીધી
અમેરિકાના પ્રખ્યાત ફૂલબ્રાઇટ નેહરુ સ્કોલર જાસમીન બેન હાલ ભારતમાં ટકાઉ ટેક્સટાઇલ વિષય પર વિશેષ અભ્યાસ અને સંશોધન કરી રહ્યા છે. આ સંશોધનના ભાગરૂપે, તેમણે સુરેન્દ્રનગર ખાતે આવેલી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની સત્તાવાર મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પરંપરાગત દેશી કપાસ (કાલા કોટન) વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો હતો. આ મુલાકાત દરમિયાન, ખાસ કરીને પર્યાવરણની દ્રષ્ટિએ દેશી કપાસની ખેતી કેવી રીતે ફાયદાકારક છે, તે કઈ રીતે ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને પર્યાવરણને ન્યૂનતમ નુકસાન પહોંચાડે છે, તે બાબતો પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવી હતી. કચેરીના અધિકારીઓ દ્વારા જાસમીન બેનને દેશી કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, તેના સંશોધનના વિવિધ પાસાઓ અને ખેડૂતો દ્વારા કપાસના વાવેતરથી લઈને તેના વિકાસ સુધી કઈ કઈ પદ્ધતિઓ અને સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સંપૂર્ણ અને ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી કચેરીની મુલાકાત દરમિયાન, મદદનીશ ખેતીવાડી અધિકારી એચ. ડી. વણકરની ઉપસ્થિતિમાં જાસમીન બેનને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, "સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અને સંસાધનો મારા સંશોધન કાર્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીંથી મેળવેલા ડેટાનો ઉપયોગ હું વૈશ્વિક સ્તરે દેશી કપાસ (કાલા કોટન)ના પ્રચાર-પ્રસાર અને તેના પર્યાવરણીય ફાયદાઓને દુનિયા સમક્ષ લાવવા માટે કરીશ." જિલ્લા ખેતીવાડી કચેરીના આ હકારાત્મક સહયોગ બદલ તેમણે કચેરીના અધિકારીઓ અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →