સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસની તપાસ:નિયમોના ભંગ બદલ કાર્યવાહી, સગીરોને રૂમ ન આપવા સૂચના; બે સંચાલકો સામે ગુનો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. શાખા અને સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન તેમજ બી-ડિવિઝન પોલીસે શહેરની વિવિધ હોટલો અને ગેસ્ટ હાઉસમાં આકસ્મિક ચેકિંગ કર્યું હતું. આ રેઇડ દરમિયાન પાવર હાઉસ પાસે આવેલી 'હોટલ ધ પેલેસ'ના સંચાલક ભવાનીસિંહ ક્રિપાલસિંહ જાડેજા અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી 'હોટલ બ્લુ બર્ડ'ના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ.ની કલમ ૨૨૩ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હોટલ સંચાલકોને કડક સૂચના આપી છે કે, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તેમના વાલીની સંમતિ વગર રૂમ ભાડે આપવા નહીં. આ ઉપરાંત, દરેક ગ્રાહકની વિગત 'પથિક' સોફ્ટવેરમાં ફરજિયાત ઓનલાઇન એન્ટ્રી કરવી અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ એક મહિના સુધી સુરક્ષિત રાખવું. પોલીસ ટીમો દ્વારા શહેરની સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલ સહિત અન્ય સ્થળોએ પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ તેમજ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા.
Read Original Article →