સુરેન્દ્રનગર હોસ્પિટલમાં નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન:જગદીશ મકવાણા સહિત અગ્રણીઓએ શ્રમદાન કરી પ્રેરણા આપી

Gujarat6/10/2026, 11:36:00 AM
સુરેન્દ્રનગર હોસ્પિટલમાં નાયબ મુખ્ય દંડકની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન:જગદીશ મકવાણા સહિત અગ્રણીઓએ શ્રમદાન કરી પ્રેરણા આપી
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે સામુહિક સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને હોસ્પિટલનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના '12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના' ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોનો એક ભાગ હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીના આદર્શો અને સ્વચ્છતાના આગ્રહને યાદ કરી, તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૌએ 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંદેશને સાર્થક કરવા દૈનિક જીવનમાં સ્વચ્છતા અપનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને અન્ય પદાધિકારીઓએ જાતે હાથમાં ઝાડુ પકડી હોસ્પિટલના પ્રાંગણમાં સફાઈનો પ્રારંભ કરાવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાંથી કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. પદાધિકારીઓના આ શ્રમદાનથી દર્દીઓના સગા-સંબંધીઓ અને સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી હતી. આ કાર્યક્રમમાં મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, અગ્રણી હાર્દિક ટમાલીયા સહિતના રાજકીય-સામાજિક પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Read Original Article →