સુરેન્દ્રનગરમાં ફૂડ વિભાગે 38 ખાદ્ય સેમ્પલ લીધા:માર્ચમાં ચેકિંગ, અગાઉના 10માંથી 1 સેમ્પલ નાપાસ થયું
સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માર્ચ માસ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 38 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. અગાઉ લેવાયેલા 10 નમૂનાઓના રિપોર્ટમાંથી એક સેવ ફરસાણનો નમૂનો નાપાસ થયો હતો. તા. 1 થી 31 માર્ચ, 2026 દરમિયાન સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત જિલ્લાના જુદા જુદા સ્થળોએ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે દુકાનો અને અન્ય સ્થળોએ તપાસ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓના નમૂના લીધા હતા. આ નમૂનાઓમાં લસ્સી (2), મઠ્ઠો, વણેલા ગાંઠિયા, અડદની દાળ, સેવ મમરા, રાઇઝ (2), દાળ ફ્રાય, ટીંડોરાનું શાક, પનીર ટીકા, ચાનો મસાલો, રાજમા મસાલો, મગનું શાક, મગની દાળ, શરબત, ગોળ, ચણા, ટૂટી-ફ્રૂટી અને છાસ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને રાજકોટ, ભુજ અને વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જોકે, આ નમૂનાઓના રિપોર્ટ આવવામાં દોઢથી બે મહિનાનો સમય લાગે છે, જેના કારણે પરિણામો મોડા પ્રાપ્ત થાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમને આરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ચેકિંગને કારણે ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Read Original Article →