સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: હથિયાર પરિવહન પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી હથિયાર જમા કરાવવા આદેશ કર્યો

Gujarat4/5/2026, 6:18:00 AM
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: હથિયાર પરિવહન પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી હથિયાર જમા કરાવવા આદેશ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 સંદર્ભે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ જાહેર સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જિલ્લામાં કડક આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં પરવાનાવાળા શસ્ત્રોની હેરફેર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા દરેક પરવાનાધારકોએ પોતપોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા 'આર્મ્સ રૂલ્સ-2016' મુજબ માન્યતા પ્રાપ્ત આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. જો હથિયાર ડીલર પાસે જમા કરાવવામાં આવે, તો તેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને કરવી ફરજિયાત છે. પરવાનાધારકોએ હથિયારના કારતૂસ કે દારૂગોળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં. ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારીઓ/અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. આ ઉપરાંત, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ લાવવા-લઈ જવા માટે ફરજ પરના સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ્સ, જેઓ માન્ય પરવાનો ધરાવે છે, તેઓ ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખી શકશે, પરંતુ ફરજ દરમિયાન તેમણે પોતાનું ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય રહેશે. નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ વિવિધ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય અને જેમને સ્ક્રિનિંગ કમિટી દ્વારા શસ્ત્ર જમા કરાવવામાંથી મુક્તિ મળી હોય, તેમને પણ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ 'ભારતીય ન્યાય સંહિતા, 2023'ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રતિબંધ 26 એપ્રિલ, 2026 સુધી અમલી રહેશે.
Read Original Article →