સુરેન્દ્રનગર ચૂંટણી, હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ:શાંતિપૂર્ણ મતદાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પડાયું

Gujarat4/5/2026, 6:24:48 AM
સુરેન્દ્રનગર ચૂંટણી, હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ:શાંતિપૂર્ણ મતદાન માટે કાયદો-વ્યવસ્થા જાળવવા જાહેરનામું બહાર પડાયું
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી જારી કરાયું છે. રાજ્ય ચૂંટણી આયોગના કાર્યક્રમ મુજબ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ-2026 માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન અને 28 એપ્રિલ, 2026ના રોજ મતગણતરી થશે. આ જાહેરનામા અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વિસ્તારોમાં પરવાનાવાળા શસ્ત્રોની હેરફેર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થાનગઢ નગરપાલિકા વિસ્તારના તમામ પરવાનાધારકોએ પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા 'આર્મ્સ રૂલ્સ-૨૦૧૬' મુજબ માન્યતા પ્રાપ્ત આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. જો હથિયાર ડીલર પાસે જમા કરાવવામાં આવે, તો તેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશનને કરવી ફરજિયાત છે. જોકે, હથિયારના કારતૂસ કે દારૂગોળો જમા કરાવવાની જરૂર રહેશે નહીં. જોકે, કેટલાક વર્ગોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફરજ પર રોકાયેલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ કે જેમને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી છે, તેઓ આમાંથી મુક્ત રહેશે. આ ઉપરાંત, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોકડની હેરફેર માટે ફરજ પરના સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ્સ, જેઓ માન્ય પરવાનો અને ઓળખપત્ર ધરાવે છે, તેઓ પણ શસ્ત્રો રાખી શકશે. નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્યો કે જેઓ શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને સ્ક્રિનિંગ કમિટી દ્વારા શસ્ત્ર જમા કરાવવામાંથી મુક્તિ મેળવી છે, તેમને પણ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે 'ભારતીય ન્યાય સંહિતા, 2023'ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ 26 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.
Read Original Article →