સુરેન્દ્રનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ડેપ્યુટી મેયર અને વોર્ડ સભ્યોએ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન કર્યું

Gujarat6/5/2026, 4:36:47 AM
સુરેન્દ્રનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ડેપ્યુટી મેયર અને વોર્ડ સભ્યોએ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન કર્યું
સમગ્ર વિશ્વમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણી અને જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ૧૨ના વઢવાણ રાણકદેવી મંદિર સંકુલમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, વોર્ડ નંબર ૧૨ના સભ્યો વનરાજસિંહ સોલંકી, વનરાજસિંહ લીંબડ અને નેહલબેન હળવદીયાએ વિસ્તારના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે વાવેલા છોડના ઉછેર અને જતન માટે સંકલ્પ પણ લીધો હતો. વૃક્ષારોપણની સાથે, પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનુભાવો અને સ્થાનિકોએ વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે જણાવ્યું હતું કે, "પર્યાવરણનું રક્ષણ એ માત્ર એક દિવસની નહીં, પરંતુ આપણા રોજિંદા જીવનની જવાબદારી છે. વધુ વૃક્ષો વાવીને અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને જ આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સુંદર ભવિષ્ય આપી શકીશું." આ કાર્યક્રમમાં વોર્ડના અગ્રણીઓ, મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો સંકલ્પ લીધો હતો.
Read Original Article →