સુરેન્દ્રનગરમાં સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર જી.એચ. સોલંકીએ રોગચાળો અટકાવવા માર્ગદર્શન આપ્યું, તમાકુ નિયંત્રણ કામગીરીની સમીક્ષા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત અને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લાના જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા અને રોગચાળો તેમજ તમાકુના દૂષણને અટકાવવા માટે વિવિધ વિભાગોને સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી સંચારી રોગ અટકાયત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને સુચારુ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નાગરિકોના આરોગ્યની સુખાકારી જાળવવા અને રોગચાળો અટકાવવા પર ભાર મૂક્યો હતો. પીવાના પાણીની શુદ્ધતા પર વિશેષ ભાર મૂકતા કલેક્ટરે નગરપાલિકા અને ગ્રામ પંચાયતના અધિકારીઓને દરેક ગામ અને શહેરમાં શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. આ માટે પાણીના સ્ત્રોતોનું નિયમિત ક્લોરીનેશન, લોગબુક નિભાવવા, પાણીની લાઈનોનું લીકેજ તાત્કાલિક રીપેર કરવા અને નિયમિત ટેસ્ટિંગ કરવાના આદેશો અપાયા હતા. આગામી ઋતુચક્રને ધ્યાને રાખી 'હીટ વેવ' અને ચોમાસામાં થતા પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગો અટકાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. હોટલો, રેસ્ટોરન્ટો, બરફ ફેક્ટરીઓ અને મિનરલ વોટર સપ્લાય કરતા એકમોમાં સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકા અને ખાદ્ય-સુરક્ષા વિભાગને સંયુક્ત ચેકિંગ હાથ ધરવા જણાવાયું હતું. આરોગ્ય વિભાગની 'પ્રિ-મોન્સુન પ્રિપ્રેડનેસ'ની પણ સમીક્ષા કરાઈ હતી. કલેક્ટરે મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા ગ્રામ્ય સ્તરે શિક્ષકો અને આશા વર્કર્સને સાંકળીને જનજાગૃતિ પ્રવૃત્તિઓ વેગવંતી કરવા સૂચના આપી હતી. ઉપરાંત, ઓનલાઈન પોર્ટલ પર રોગોનું રીઅલ-ટાઇમ ડેટા મોનિટરિંગ કરવા પણ નિર્દેશ અપાયો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર તેમજ સિવિલ સર્જન અને જિલ્લા તબીબી અધિકારી ડો. ચૈતન્ય પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને 'નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ' અંતર્ગત જિલ્લા સ્ટીયરિંગ કમિટીની પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં તમાકુ નિયંત્રણ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે જિલ્લાને સંપૂર્ણપણે તમાકુમુક્ત બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા તથા કાયદાકીય જોગવાઈઓ હેઠળ વધુ અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપી હતી. COTPA એક્ટના સઘન અમલીકરણ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા દંડની કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે ચર્ચા થઈ હતી.તાજેતરમાં 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' અંતર્ગત યોજાયેલી અવેરનેસ રેલી અને શપથ ગ્રહણ જેવી જનજાગૃતિ પ્રવૃત્તિઓની પણ આ બેઠકમાં સમીક્ષા કરાઈ હતી.
Read Original Article →