નિર્ધાર સંસ્થાએ ₹35 લાખના ખર્ચે વિધવા ભવનનું લોકાર્પણ કર્યું:સુરજબા વિધવા પુનર્વસન ભવન વિભાગ-2 થી મહિલાઓને રોજગારી મળશે

Gujarat5/27/2026, 11:10:53 AM
નિર્ધાર સંસ્થાએ ₹35 લાખના ખર્ચે વિધવા ભવનનું લોકાર્પણ કર્યું:સુરજબા વિધવા પુનર્વસન ભવન વિભાગ-2 થી મહિલાઓને રોજગારી મળશે
વિધવા મહિલાઓને સમાજ જીવનના પ્રવાહમાં જોડવા, તેમનું પુનર્વસન, સ્વાવલંબન અને રોજગારીની તક પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે છેલ્લા 27 વર્ષથી સક્રિય નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ સંસ્થા દ્વારા તાજેતરમાં "અવસર" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ સંસ્થાના સખીદાતા અને ઉદ્યોગપતિ ડો. કે.એલ. મહેતાના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જેનું દીપપ્રાગટ્ય ઉદ્યોગપતિ યોગેશભાઈ સંઘવીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભવો જેવા કે મીનાબેન મહેતા, ડો. અલ્પેશ ગોહિલ, કલ્પેશ મશરૂવાલા, ડો. ઈરફાન વોરા, જાણીતા સીએ દીપકભાઈ શાહ, નાયબ ઉદ્યોગ કમિશ્નર પારેજીયા, નિલેશભાઈ શુક્લ, માલીકા ગાંધી અને જયશ્રીબેન માટલીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મીનાબેન મહેતાના હસ્તે નિર્ધાર વૈધવ્ય વિશેષાંક 2026નું વિમોચન પણ કરાયું હતું. આ ઉપરાંત, ખમીરવંતી ઝાલાવાડી ધરતીમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સી.એમ. ચાવડા તથા પ્રશાંત જાનીને મહાનુભવોના હસ્તે ઝાલાવાડ સેવા ભૂષણ એવોર્ડ 2026, મલ્ટિકલર સન્માન પત્ર, શિલ્ડ, સ્મૃતિભેટ, શાલ અને ફુલહાર સાથે અર્પણ કરાયો હતો. યુવાનવયે વૈધવ્યનો ભોગ બનેલા વિધવા મહિલાઓને તેમના બાળકોના શિક્ષણ માટે ફુલસ્કેપ ચોપડા, કંપાસ, લંચબોક્સ અને વોટર બોટલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રૂપિયા 35 લાખના ખર્ચે નવનિર્મિત સુરજબા વિધવા પુનર્વસન ભવન વિભાગ-૨નું લોકાર્પણ હતું. આ ભવનનું લોકાર્પણ સખીદાતા ડો. કે.એલ. મહેતા, મીનાબેન મહેતા અને રીનાબેન જસાણીના વરદ હસ્તે કરાયું હતું, જેનો હેતુ વિધવા મહિલાઓને રોજગારીની તક પૂરી પાડવાનો છે. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું, જ્યારે કાર્યક્રમની સફળતા માટે આનંદ રાવલ અને નિર્ધાર ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં વિધવા મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જે નિર્ધાર દ્વારા વિધવા કલ્યાણ ક્ષેત્રે સમર્પિત એક વિશેષ સેવા પુષ્પ સમાન હતો.
Read Original Article →