પાટડીમાં શ્રી ઉમિયા માતાજીના રથનું આગમન:વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાન કરાયેલા રથનું સ્વાગત
પાટડી નગરમાં શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાન કરાયેલા શ્રી ઉમિયા માતાજીના દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથનું આગમન આસ્થાભેર ઉજવાયું હતું. અમદાવાદના જાસપુર સ્થિત શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનથી શરૂ થયેલો આ રથ પાટડી પહોંચતા સરદાર પટેલ સોસાયટીમાં ગોરધનભાઈ ચતુરભાઈ પટેલના નિવાસસ્થાને પધરામણી કરી હતી. અહીં પૂજા-અર્ચના બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને કડવા પાટીદાર હોલ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું. ધર્મસભામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં બે હજાર કરોડના ખર્ચે 100 વીઘા જમીનમાં 504 ફૂટ ઊંચું શ્રી ઉમિયા માતાજી મંદિર સંકુલ આકાર લેશે. આ સંકુલમાં શૈક્ષણિક, સેવા પ્રવૃત્તિ અને આરોગ્ય સંકુલનો પણ સમાવેશ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મંદિરમાં 100 કિલો સોનાની માતાજીની મૂર્તિ, 1,000 કિલો નંદીની મૂર્તિ અને શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવશે. આ ભગીરથ કાર્ય વિશ્વભરમાં વસતા પાટીદાર સમાજના સહયોગથી શરૂ કરાયું છે. આ પ્રસંગે પાટડીના રાજવી કરણીસિંહજી દેસાઈ, પાટડી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, પાટડી કડવા પાટીદાર સમાજના પ્રમુખ રશ્મિભાઈ પરીખ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી દશરથભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ સહિત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરતભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ અને વિજયભાઈ દેસાઈ પરિવારે આરતી, સારથિ અને છડીનો લાભ લીધો હતો. ભોજન પ્રસાદ સહિતનો તમામ ખર્ચ પાટડી નગરના આગેવાનોએ ઉઠાવ્યો હતો અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિદ્ધાર્થ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Original Article →