જોરાવરનગર પોલીસે મકાન દસ્તાવેજ વિવાદ ઉકેલ્યો:બાનાખત બાદ દોઢ વર્ષથી અટકેલા દસ્તાવેજમાં અરજદારને ન્યાય મળ્યો
જોરાવરનગર પોલીસે દોઢ વર્ષથી અટકેલા મકાન દસ્તાવેજના વિવાદનો સુખદ નિવેડો લાવ્યો છે. બાનાખતની રકમ મેળવ્યા બાદ પણ દસ્તાવેજ ન કરી આપનાર સામે ત્વરિત કાર્યવાહી કરીને અરજદાર રમીઝ યુનુશભાઇ કાજીને ન્યાય અપાવવામાં આવ્યો હતો. જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં રમીઝ કાજીએ લેખિત અરજી દ્વારા રજૂઆત કરી હતી. તેમણે પ્રદીપભાઇ દવે અને તેમના પત્ની જુહીબેન દવે પાસેથી રતનપર બાયપાસ રોડ પર આવેલ રે.સ.નં. 121 પૈકીના પ્લોટ નં. 10 પરનું મકાન રૂ. 14,00,000/- માં ખરીદવાનું નક્કી કર્યું હતું. અરજદારે બાના પેટે રૂ. 10,00,000/- ચેકથી ચૂકવ્યા હતા. જોકે, બાનાખતની મુદત પૂર્ણ થયા બાદ સામાવાળા પક્ષે મકાન પર રૂ. 11,00,000/- ની લોન ચાલુ હોવાનું જણાવ્યું હતું. અરજદારે લોનની રકમ પણ ભરપાઈ કરી મકાન દસ્તાવેજ પેટે કુલ રૂ. 21,00,000/- ચૂકવી આપ્યા હતા, જે મકાનની કુલ રકમ કરતા વધુ હતા. તેમ છતાં, છેલ્લા દોઢેક વર્ષથી સામાવાળા પક્ષ દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવતો ન હતો અને માત્ર મુદતો જ આપવામાં આવતી હતી. પોલીસ ટીમે પ્રદીપભાઇ દવે તથા તેમના પત્નીને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. અરજદારની હકીકત સાચી જણાતા પોલીસે બંને પક્ષને જરૂરી કાયદાકીય પ્રક્રિયાની સમજ આપી હતી. પોલીસની યોગ્ય મધ્યસ્થી અને કાયદાકીય સમજાવટના કારણે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. અને પ્રદિપભાઈએ રમીઝ કાજીને મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો
Read Original Article →