વૈશાખી અમાસે શનિદેવનો જન્મોત્સવ ઉજવાયો:ચોટીલા નવગ્રહ મંદિરમાં શનિહવન, કાલસર્પ યોગ વિધિ કરાઈ

Gujarat5/16/2026, 9:41:32 AM
વૈશાખી અમાસે શનિદેવનો જન્મોત્સવ ઉજવાયો:ચોટીલા નવગ્રહ મંદિરમાં શનિહવન, કાલસર્પ યોગ વિધિ કરાઈ
વૈશાખી અમાસના પવિત્ર અવસરે શનિદેવના જન્મોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર તળેટીમાં આવેલા નવગ્રહ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજમાન શનિદેવ સમક્ષ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત શનિહવન અને કાલસર્પ યોગ વિધિ જેવા ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા ભારતની સમૃદ્ધિ, સનાતન વિરોધી તત્વોના નાશ અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ચોટીલા ચામુંડા મંદિર: લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલું ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાનું જગપ્રસિદ્ધ ધામ છે. ડુંગર પર બિરાજમાન ચામુંડા માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા શક્તિસ્વરૂપ ગણાય છે. ચામુંડા માતાને 64 જોગણી પૈકીના એક અવતાર માનવામાં આવે છે. અહીં રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચંડ-મુંડ રાક્ષસોના વધ સાથે જોડાયેલો ઇતિહાસ ચોટીલાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પૌરાણિક માન્યતા અનુસાર, પ્રાચીન સમયમાં પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ભારે ત્રાસ હતો, જેનાથી પ્રજા અને ઋષિ-મુનિઓ પરેશાન હતા. આ આસુરી શક્તિઓથી રક્ષણ મેળવવા ઋષિ-મુનિઓએ યજ્ઞ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી હતી. યજ્ઞકુંડના દિવ્ય તેજમાંથી પ્રગટ થયેલા આદ્યશક્તિએ બે સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો. રાક્ષસોના વધ બાદ માતા ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા. આ જ કારણે અહીં મંદિરમાં માતાના બે મુખના દર્શન થાય છે. પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ગુજરાતના અન્ય ધાર્મિક સ્થળોની જેમ ચોટીલામાં પણ દર પૂનમે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. વર્ષની 12 પૂનમોમાં કારતક માસની પૂનમ અને ચૈત્ર માસની પૂનમનું અહીં વિશેષ મહત્વ છે, જેમાં ચૈત્રી પૂનમે સૌથી વધુ ભક્તો દર્શનનો લાભ લે છે.
Read Original Article →