કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાંડૂબી જવાથી એક કિશોરનું મોત
ચુડાના ઝોબાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ન્હાવા ગયેલો ધો.9નો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થયો હતો. તેની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં રહેતા જગદીશભાઈ કાલિયાનો 14 વર્ષીય પુત્ર કુલદીપ ધો.9માં અભ્યાસ કરતો હતો. સોમવારે બે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. હસતા-રમતા બાળકોને ખ્યાલ નહોતો કે આ આનંદની પળો માતમમાં ફેરવાઈ જશે. ન્હાતી વખતે કુલદીપ અચાનક તળાવના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેને ડૂબતો જોઈ મિત્રોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમો સાંભળી નજીકમાં રહેતા હસમુખભાઈ ચેખલિયા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અડધી કલાકની જહેમત બાદ કુલદીપને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. તેને સારવાર અર્થે રાણપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ કુલદીપને મૃત જાહેર કર્યો હતો.
Read Original Article →