યાર્નના ભાવ આસમાને પહોંચતા સુરતનો વીવિંગ ઉદ્યોગ કફોડી હાલતમાં:મોંઘવારીના મારથી ગ્રાહકોએ કપડાંની ખરીદી 5 જોડીથી ઘટાડીને 3 કરી, આખી ચેઈનમાં રૂ. 3000 કરોડનું ધોવાણ

Gujarat5/26/2026, 8:47:25 AM
યાર્નના ભાવ આસમાને પહોંચતા સુરતનો વીવિંગ ઉદ્યોગ કફોડી હાલતમાં:મોંઘવારીના મારથી ગ્રાહકોએ કપડાંની ખરીદી 5 જોડીથી ઘટાડીને 3 કરી, આખી ચેઈનમાં રૂ. 3000 કરોડનું ધોવાણ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતાના કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન વીવિંગ (વણાટ) ઉદ્યોગ હાલમાં અત્યંત કફોડી હાલતમાંથી પસાર થઈ રહ્યો છે. યુદ્ધની શરૂઆત થયા બાદ કાચા માલના ભાવોમાં અચાનક તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં કાપડ બનાવવા માટેના મુખ્ય ઘટક એવા યાર્નના ભાવમાં સીધો 30 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારાની સીધી અને વ્યાપક અસર સામાન્ય જનતાની ખરીદશક્તિ પર જોવા મળી રહી છે. મોંઘવારીના આ કપરા સમયમાં સામાન્ય ગ્રાહકો હવે કપડાં પાછળ થતા ખર્ચમાં ભારે કરકસર કરી રહ્યા છે. જે લોકો અગાઉ સીઝન દરમિયાન પોતાના પરિવાર માટે 5 જોડી કપડાંની ખરીદી કરતા હતા, તેઓ હવે બજેટ ખોરવાઈ જતાં માત્ર 3 જોડી કપડાં પર આવી ગયા છે.એસોસિયેશનના આંકડા અનુસાર, આખી ટેક્સટાઈલ ચેઈનને રૂ.3000 કરોડના જંગી નુકસાનનો અંદાજ છે. આ વૈશ્વિક કટોકટી અને સ્થાનિક મંદીના માહોલ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ શ્રમિકોની આજીવિકા પર ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જો યુદ્ધ ખતમ નથી થતું તો આ કારીગરોને અમે પાછા નહીં બોલાવી શકીએ કારણ કે 35 થી 45 ટકા જે મશીનો છે અત્યારે હાલ પૂરતા એ બંધ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉત્પાદન સદંતર ઠપ્પ થઈ જશે સુરતનો કાપડ ઉદ્યોગ લાખો પરપ્રાંતિય શ્રમિકોની રોજીરોટી પર ચાલે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ઉદ્યોગના અગ્રણી અશોક જીરાવાલાએ કારીગરોને પરત ન બોલાવવાની ગંભીર વાત કહી છે. સામાન્ય રીતે હોળીના તહેવાર બાદ કારીગરો 15 દિવસમાં પરત ફરતા હોય છે, પરંતુ આ વખતે 2 મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં બજારમાં કામ ન હોવાથી કારીગરો વતનમાં જ અટવાયા છે. જીરાવાલાએ સ્પષ્ટ કર્યું કે ફેક્ટરી માલિકોની આર્થિક સ્થિતિ હવે નવા કે જૂના કારીગરોને સાચવવાની રહી નથી. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ઉત્પાદન સદંતર ઠપ્પ થઈ જશે અને આ કારીગરો લાંબા સમય સુધી બેરોજગાર રહેશે, કારણ કે તેમને સુરત પાછા બોલાવવાનો કોઈ ભરોસો વીવર્સ આપી શકતા નથી. કાપડ બનાવવા વપરાતું પોલિએસ્ટર યાર્ન સીધું પેટ્રોલિયમ પેદાશોમાંથી બનાવવામાં આવે સુરતનો વીવિંગ ઉદ્યોગ મુખ્યત્વે સિન્થેટિક અને પોલિએસ્ટર કાપડના ઉત્પાદન પર નિર્ભર છે, અને આ કાપડ બનાવવા માટે વપરાતું પોલિએસ્ટર યાર્ન સીધું પેટ્રોલિયમ પેદાશોમાંથી બનાવવામાં આવે છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવો સતત આસમાને પહોંચી રહ્યા છે. ક્રૂડ ઓઈલ મોંઘું થતાં જ તેની બાય-પ્રોડક્ટ્સ અને કેમિકલ્સના ભાવ વધે છે, જેને પરિણામે યાર્નના ઉત્પાદન ખર્ચમાં જબરદસ્ત વધારો થાય છે. ફેબ્રુઆરી 28 પછીથી સતત વધી રહેલા ક્રૂડના ભાવોને કારણે યાર્ન ઉત્પાદક કંપનીઓએ ભાવમાં અસહ્ય Rs. 30 જેટલો મોટો વધારો ઝીંકી દીધો છે. વીવર્સ માટે આ મોંઘું યાર્ન ખરીદીને કાપડ બનાવવું હવે આર્થિક રીતે સક્ષમ રહ્યું નથી. ખરીદદાર ન હોવાને કારણે કાપડનો સ્ટોક ગોડાઉનોમાં જમા યાર્નના ભાવ વધારાને કારણે ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થયો છે, પરંતુ તેની સામે માર્કેટના ટ્રેડર્સ કે મોટા વેપારીઓ આ મોંઘું તૈયાર થયેલું કાપડ ખરીદવા બિલકુલ તૈયાર નથી. ટ્રેડર્સનું માનવું છે કે રિટેલ માર્કેટમાં ગ્રાહકો મોંઘા ભાવનું કાપડ ખરીદવા સક્ષમ નથી, જેથી જો તેઓ ઊંચા ભાવે માલ ખરીદશે તો તેમનો માલ ભરાઈ રહેશે અને મૂડી બ્લોક થઈ જશે. વીવર્સ એક તરફ મોંઘું યાર્ન લાવીને મશીનો ચલાવે છે, પરંતુ સામે ખરીદદાર ન હોવાને કારણે કાપડનો સ્ટોક ગોડાઉનોમાં જમા થઈ રહ્યો છે. આ ગતિરોધને કારણે વીવિંગ ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન વધુ ગંભીર અને ચિંતાજનક બનતી જઈ રહી છે. 40 ટકા ઉદ્યોગ લોસમાં, સ્ટાફનો પગાર કાઢવો પણ લોઢાના ચણા ચાવવા સમાન કાપડ ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિનું આકલન કરવામાં આવે તો સુરતનો અંદાજે 40 ટકા જેટલો વીવિંગ ઉદ્યોગ હાલમાં સીધો ભારે નુકસાન (લોસ)માં ચાલી રહ્યો છે. રોજબરોજના ખર્ચ જેવા કે લાઈટ બિલ, મશીનરીનું મેઈન્ટેનન્સ, અને મશીન પર કામ કરતા સ્ટાફનો પગાર કાઢવો પણ ઉદ્યોગકારો માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે. ઘણા નાના વીવર્સે તો પોતાની મૂડી બચાવવા માટે આંશિક રીતે કારખાનાઓ બંધ કરી દીધા છે અથવા તો માત્ર 1 જ શિફ્ટમાં કામ કરવાનું શરૂ કર્યું છે. નુકસાનીનો આ ગ્રાફ જો આગામી દિવસોમાં પણ આ જ રીતે ઊંચો રહેશે, તો અનેક એકમો કાયમી ધોરણે બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કારીગરોની અછત વચ્ચે વર્તમાન શ્રમિકોને રોજગારી આ ભયંકર મંદી અને કટોકટી વચ્ચે એક વિચિત્ર પરિસ્થિતિ એ સર્જાઈ છે કે હોળીના તહેવાર દરમિયાન વતન ગયેલા હજારો કારીગરો હજુ સુધી પરત ફર્યા નથી. આ કારીગરો પરત ન આવવાને કારણે કારખાનાઓમાં જે જૂના કે બાકી રહેલા શ્રમિકો છે, તેમને હાલ પૂરતી પૂરતી રોજગારી મળી રહી છે. કારણ કે મશીનો ઓછા ચાલી રહ્યા છે અને કારીગરો પણ મર્યાદિત છે, જેથી ઉપલબ્ધ કારીગરો બેકાર થવાથી બચી ગયા છે અને તેમનું ગુજરાન ચાલી રહ્યું છે. પરંતુ આ સ્થિતિ લાંબો સમય ટકી શકે તેમ નથી. 45% મશીનો બંધ હાલતમાં, કારીગરો જો પરત ફરે તો બેકારી વધવાનું જોખમ ટેક્સટાઈલ એસોસિયેશનના અગ્રણીઓનું માનવું છે કે, જો અત્યારની મંદીની સ્થિતિમાં વતન ગયેલા તમામ કારીગરો અચાનક સુરત પરત ફરે, તો બજારમાં બહુ મોટી બેરોજગારી (બેકારી) ફાટી નીકળશે. હાલમાં માર્કેટમાં 35% થી 45% મશીનો બંધ હાલતમાં હોવાથી નવા કે પરત ફરેલા કારીગરોને કામ આપવાની ક્ષમતા ઉદ્યોગકારો પાસે નથી. જો તમામ શ્રમિકો પાછા આવશે તો કામ મેળવવા માટે ભારે અફડાતફડી મચશે અને કારીગરોને કામ વગર બેસી રહેવાનો વારો આવશે. આ પરિસ્થિતિ શ્રમિક વર્ગ માટે સામાજિક અને આર્થિક રીતે અત્યંત ઘાતક સાબિત થઈ શકે તેમ છે. આખી ટેક્સટાઈલ ચેઈનને 3000 કરોડના નુકસાનનો અંદાજ એસોસિયેશનના આંકડાઓ અનુસાર, આ વૈશ્વિક કટોકટી અને કાચા માલના ભાવવધારાને કારણે સમગ્ર ટેક્સટાઈલ ચેઈનને અત્યાર સુધીમાં અંદાજે રૂ.2500થી રૂ. 3000 કરોડનું અધધ નુકસાન થઈ ચૂક્યું છે. આ નુકસાન માત્ર વીવિંગ સેક્ટરમાં જ નહીં, પરંતુ યાર્ન મેન્યુફેક્ચરિંગ, વીવિંગ, પ્રોસેસિંગ (ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ)થી લઈને છેલ્લે કાપડના હોલસેલ ટ્રેડિંગ સુધીના તમામ સેગમેન્ટમાં વહેંચાયેલું છે. આખી ચેઈનમાં ઉદ્યોગકારો અને વેપારીઓની વર્ષોથી કમાયેલી મૂડીનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટેશનનો મોટો માર અને સર્વાઈવલનો પડકાર રો મટીરીયલના ભાવવધારાની સાથે સાથે હવે સરકારના નિયંત્રણ બહાર જઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવવધારાએ ઉદ્યોગની કમર તોડી નાખી છે. ડીઝલના ભાવ વધવાથી માલસામાનની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ ભારે વધારો થવાનો છે, જે આ ઉદ્યોગ માટે 'પડતા પર પાટું' સમાન સાબિત થશે. અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, હાલમાં અમારું ફોકસ કોઈ કમાણી કરવા પર નથી, પરંતુ માત્ર કારીગરો અને ઉદ્યોગને સર્વાઈવ (ટકાવી) રાખવા પર છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણાઓ સફળ થાય અને પ્રભુની કૃપાથી યુદ્ધ જલ્દી ખતમ થાય, તો પણ આ મંદીના ઊંડા ખાડાને પૂરતા અને ઉદ્યોગને પાટા પર લાવતા ઓછામાં ઓછા 3 મહિના જેટલો સમય લાગી જશે.
Read Original Article →