આગ અને છેતરપિંડી માટે પોલીસ-વેપારીઓ વચ્ચે ‘મહા-સંવાદ’ યોજાયો:સુરક્ષા માટે નવો પ્લાન, ફાયર સેફ્ટી, ઈન્શ્યોરન્સ અને ભાડુઆતોની તપાસ માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ થશે
સુરત શહેરનું ટેક્સટાઇલ માર્કેટ એશિયાનું સૌથી મોટું માર્કેટ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં છેતરપિંડી અને આગની ઘટનાઓ માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પોલીસ-વેપારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સૂચના મુજબ એડિશનલ સીપી બલરામ મીના સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓને આર્થિક છેતરપિંડીથી બચાવવા અને ઉનાળાની સિઝનમાં આગ જેવી જાનમાલની નુકસાની રોકવા માટે જાગૃતિ લાવવાનો હતો. 'ઇકો સિસ્ટમ બગાડનારા લેભાગુ તત્વોને નહીં છોડાય'
એડિશનલ સીપી બલરામ મીનાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટની આર્થિક ઇકો સિસ્ટમને બગાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ લેભાગુ તત્વોને છોડવામાં આવશે નહીં. તેમણે ખાતરી આપી હતી કે પોલીસ કમિશનરની કટિબદ્ધતા છે કે વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ દેશના કોઈપણ ખૂણે છુપાયો હશે, સુરત પોલીસ તેને શોધી લાવશે અને એવો સબક શીખવાડશે કે ફરી ક્યારેય ગુનો કરવાની હિંમત નહીં કરે. આ સંવાદમાં છેતરપિંડીના ઇરાદે માર્કેટમાં પ્રવેશતા તત્વોને કઈ રીતે ઓળખવા અને ભવિષ્યમાં તેની સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવ
ઉનાળાની શરૂઆત સાથે જ માર્કેટમાં શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓ વધતી હોય છે. આ મુદ્દે બેઠકમાં ફાયર ઓફિસર અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે નિર્ણય લીધો છે કે હવે દરેક માર્કેટમાં પોલીસ, ફાયર વિભાગ અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મળીને સ્પેશિયલ સેફ્ટી ડ્રાઈવ ચલાવશે. જેમાં માર્કેટના ફાયર પંપ ચાલુ છે કે નહીં, ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાશે. ટોરેન્ટ પાવરના અધિકારીઓએ પણ આગ લાગવાના ટેકનિકલ કારણો અને વીજ લોડ મેનેજમેન્ટ અંગે વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્ટોક અને બિલ્ડિંગનો ઇન્શ્યોરન્સ કરાવવા અપીલ
માર્કેટમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે વેપારીઓને કરોડોનું નુકસાન થાય છે. આ આર્થિક નુકસાન સામે સુરક્ષા મળી રહે તે માટે બેઠકમાં વીમા કંપનીના અધિકારીઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ વેપારીઓને આગ્રહ કર્યો હતો કે માત્ર દુકાનનો જ નહીં, પણ દુકાનમાં રહેલા કાચા-પાકા માલ (સ્ટોક), બિલ્ડિંગ અને ટ્રાન્ઝિટમાં રહેલા માલનો પણ ઇન્શ્યોરન્સ જરૂર કરાવવો. વીમો લેવાથી કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે વેપારી પાયમાલ થતા બચી શકે છે. સમન્સ અને SIT મુદ્દે વેપારીઓની રજૂઆત
સંવાદ દરમિયાન વેપારીઓએ પોતાની પ્રેક્ટિકલ મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઘણીવાર કોર્ટ આદેશ કરે છે પરંતુ સમન્સ સર્વ થતા નથી. ફરિયાદી સમન્સ લઈને ક્યાં સુધી ભટકશે? અગાઉ ગઢવી સાહેબના સમયમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા સારા કામ થયા હતા, પરંતુ બદલી બાદ હાલ કોનો સંપર્ક કરવો તે પ્રશ્ન હતો. પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ટૂંક સમયમાં એક મીટિંગ કરી જવાબદાર અધિકારીનું નામ અને એક કોમન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે, જેથી વેપારીઓ સીધો સંપર્ક કરી આરોપીઓ કે વોરંટ બાબતે માહિતી આપી શકે. ભાડુઆતોની તપાસમાં કડકાઈ, દરેક પોલીસ સ્ટેશનમાં ડેડિકેટેડ સ્ટાફની માંગ
વેપારી મંડળે પોલીસ સમક્ષ મહત્વની રજૂઆત કરી હતી કે માર્કેટ વિસ્તારમાં આવતા 7 પોલીસ સ્ટેશનોમાં ભાડુઆતોની નોંધણી માટે ખાસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. અત્યારે ઘણા કિસ્સામાં નકલી સિક્કા અને ખોટા દસ્તાવેજો બનાવીને લેભાગુઓ દુકાનો ભાડે રાખતા હોય છે અને પછી છેતરપિંડી કરીને ભાગી જાય છે. જો પોલીસ, માર્કેટ એસોસિએશન, બ્રોકર અને મેનેજર - આ ચારેયના સત્તાવાર સિક્કા અને વેરિફિકેશન હોય તો જ ભાડુઆતને મંજૂરી આપવી જોઈએ. પોલીસે આ સૂચનને આવકારી 24 કલાક તપાસ ચાલે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. સીધા સંવાદથી પોલીસ-વેપારી વચ્ચેનું અંતર ઘટશે
કાર્યક્રમના અંતે એ નિષ્કર્ષ નીકળ્યો હતો કે પોલીસ ગમે તેટલી કડક હોય, પરંતુ વેપારીએ પોતે પણ સાવધ રહેવું પડશે. જોઈન્ટ સીપીએ વેપારીઓને સૂત્ર આપ્યું હતું કે સાવચેતી એ જ સલામતી’ સોદા કરતી વખતે સાવધાની રાખવી, અજાણ્યા અને શંકાસ્પદ ખરીદદારોની યોગ્ય તપાસ કરવી અને પોલીસને સહકાર આપવો એ વેપારીઓની પણ જવાબદારી છે. આ પ્રકારના સીધા સંવાદથી પોલીસ અને વેપારીઓ વચ્ચેનો વિશ્વાસ વધશે અને સુરતનું ટેક્સટાઇલ માર્કેટ વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનશે.
Read Original Article →