પ્રેમ લગ્નના 5 મહિનામાં જ 28 વર્ષીય યુવતીનો આપઘાત:સુરતમાં સાસરીયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયરમાં ગળે ફાંસો ખાધો; પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ
સુરતના પુણાગામ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પ્રેમલગ્નના માત્ર પાંચ જ મહિનામાં એક 28 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષના અસહ્ય માનસિક ત્રાસ અને મેણા-ટોણાથી કંટાળીને પોતાના પિયરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક પરિણીતાના માતાની ફરિયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમ લગ્નના એક જ મહિનામાં ત્રાસ શરૂ થયો
મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી ગામના અને હાલ સુરતના પુણાગામ ખાતે રહેતા મંજુબેન ગુજરીયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની 28 વર્ષની મોટી દીકરી આશાબેને ગત 2 ડિસેમ્બર 2025ના રોજ પોતાના ઘરેથી ભાગીને સારોલીના કુંભારીયા ગામે રહેતા નિરવ રાઘવભાઇ બલદાણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પતિ નિરવ, સસરા રાઘવભાઇ અને સાસુ ગીતાબેન સાથે રહેતી હતી. જોકે, લગ્નના એકાદ મહિના બાદથી જ સાસરીયાઓએ આશાબેનને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. માનસિક ત્રાસને કારણે પરિણીતા ICUમાં દાખલ થઈ હતી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના થોડા સમય બાદ આશાબેન ગંભીર બીમાર થતાં તેમને પરમ હોસ્પિટલના આઇસીયુ (ICU) વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે આશાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, પતિ, સાસુ અને સસરાના અતિશય માનસિક ત્રાસના કારણે તેઓ બીમાર પડ્યા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ ત્રાસ ચાલુ રહ્યો હતો અને આશાબેને ફોન પર પોતાની માતાને જણાવ્યું હતું કે તેઓ સાસરીયાઓથી ખૂબ જ ડરી ગયા છે. પરિણીતાનું પિયરમાં રહેવું ને પતિની ધમકીઓ
આશરે અઢી મહિના પહેલાં આશાબેનનો ભાઈ પ્રકાશ તેમને સાસરીયાઓની મરજી વિરૂદ્ધ પિયરે તેડી લાવ્યો હતો. પરંતુ પતિ નિરવના સતત દબાણને કારણે તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ, આશરે બે મહિના પહેલાં પતિ નિરવ આશાબેનને કપડાના થેલા સાથે પિયરે મૂકી ગયો હતો. આશાબેને પરિવારને જણાવ્યું હતું કે, સાસરીયાઓ તેને અસહ્ય માનસિક ત્રાસ અને મેણા-ટોણા મારતા હોવાથી ઝઘડો થયો હતો. પિયરમાં આવ્યા બાદ પણ પતિ નિરવ દિવસભર ફોન કરીને ઘરે પાછા આવવા માટે ધમકીઓ આપતો હતો, જેના કારણે આશાબેન ભારે ફફડાટમાં જીવતા હતા. માતા-બહેન બહાર ગયા ને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું
ગઈકાલ તારીખ 25 મે 2026ના રોજ બપોરે સાડા અગિયાર વાગ્યે પતિ નિરવનો આશાબેન પર ફોન આવ્યો હતો અને પોલીસ સ્ટેશન આવી સહી કરી જવા કહ્યું હતું. ત્યારબાદ બપોરે સાડા ચાર વાગ્યે આશાબેનની માતા મંજુબેન અને નાની બહેન મનિષા શાકભાજી ખરીદવા બજારમાં ગયા હતા, ત્યારે આશાબેન ઘરે એકલા જ હતા. સાંજે 6 વાગ્યાની આસપાસ જ્યારે માતા અને બહેન ઘરે પરત ફર્યા, ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદરના રૂમમાં જઈને જોતાં આશાબેન છતના પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
દીકરીના મોતના પગલે પરિવારે તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આશાબેનને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તેમના પતિ નિરવ રાઘવભાઇ બલદાણીયા, સસરા રાઘવભાઈ ભુરાભાઈ બલદાણીયા અને સાસુ ગીતાબેન રાઘવભાઇ બલદાણીયા વિરૂદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 108, 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આગળની કાયદેસરની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુષાર રાજારામ પાટીલ ચલાવી રહ્યા છે.
Read Original Article →