'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક':ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કઠોર અને વેલંજા વિસ્તારના જનપ્રતિનિધિઓ માટે જનતાએ અપેક્ષાઓનું ભાથું તૈયાર રાખ્યું છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે માત્ર વાતો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે તેવા નેતાઓની આજે જરૂર છે. આ વોર્ડમાં માળખાગત સુવિધાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા, ટ્રાફિકની સમસ્યા અને રોડના વારંવાર થતા ખોદકામે નાગરિકોની હાલાકીમાં વધારો કર્યો છે. તો બીજી તરફ, સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ અંગ્રેજીના શિક્ષક છે. આમ, સામાન્ય જનતા પાયાની સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એમ બંને મોરચે સંઘર્ષ કરી રહી છે. સ્થાનિકોએ વરાછામાં અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી કરી
લોકોની મુખ્ય માગણી સુરક્ષાને લઈને છે. હાલનું પોલીસ સ્ટેશન એવી જગ્યાએ કાર્યરત છે કે સામાન્ય નાગરિકને તે શોધવામાં પણ મુશ્કેલી પડે છે. મતદારોની માગ છે કે આગામી શાસકો પોલીસ સ્ટેશન માટે કોઈ મોકળાશવાળી અને મુખ્ય માર્ગ પરની જગ્યા ફાળવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બની શકે. વધતી જતી વસ્તી અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાને રાખીને મોટા વરાછા વિસ્તારમાં એક અદ્યતન એસ.ટી. બસ ડેપોની માંગણી ઉઠી છે. બહારગામ જવા માટે લોકોને દૂર સુધી લાંબા થવું પડે છે, જો સ્થાનિક સ્તરે ડેપોની વ્યવસ્થા થાય તો હજારો મુસાફરોને રાહત મળી શકે તેમ છે. ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
મોટા વરાછા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં તેનું કામ હજુ સુધી કાગળ પર જ છે. વિકાસના આ કામમાં થઈ રહેલો વિલંબ લોકોમાં આક્રોશ જન્માવી રહ્યો છે. નવા બનેલા રોડ પર વારંવાર થતા ખોદકામને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આયોજન વગરના કામોને બદલે કાયમી અને મજબૂત રસ્તાઓ બને તેવી અપેક્ષા રખાઈ રહી છે. વિસ્તારમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓની સંખ્યા વધારવા તેમજ હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની માંગણી પણ જોર પકડી રહી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોના વિકાસ અને આસપાસના રસ્તાઓના નવીનીકરણ માટે પણ લોકો નેતાઓ સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે. પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિકોમાં રોષ
દર વર્ષે ચોમાસામાં મોટા વરાછા અને ઉત્રાણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા અને પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે દર વર્ષે સવાલો ઉઠે છે. જનતા આ વખતે એવા પ્રતિનિધિને પસંદ કરવા માંગે છે જે આ વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે. મોટા વરાછાની જનતા જાગૃત છે. આ વખતે ચૂંટણીમાં પક્ષ કરતાં 'કામ' અને 'સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ' ને વધુ મહત્વ આપવામાં આવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 'હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય એ બંધ થવી જોઈએ'
વિજય માંગુકિયા (સામાજિક અગ્રણી)એ જણાવ્યું હતું કે, સામાજિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો સામાજિક દૂષણ તરીકે અત્યારે ઓયો હોટલ, જે મોટા વરાછા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં મહિલાઓ જે કામ પર જતી હોય છે, આઇટી સેક્ટરમાં ખૂબ અહીંયા વિકાસ થતો હોય છે ને આઇટી સેક્ટરના ઘણા બધા બિલ્ડીંગો બન્યા છે, કોમર્શિયલ બિલ્ડીંગો આવી રહ્યા છે. તો આ બધામાં નીચેના ભાગમાં હાઈ-ફાઈ ગલ્લાઓ હોય છે જ્યાં બીડી-સિગારેટ આદિ વ્યસનો કરવા માટે યુવાનો-યુવતીઓને સરળતાથી મળી રહે અને ત્રણ-ચાર માળમાં જે ઓફિસો આવેલી છે એમાં ઉપરના જે ટોપ ફ્લોર જેટલા પણ કોમર્શિયલ બિલ્ડિંગો છે એમાં મોટા ભાગના બિલ્ડિંગોની અંદર ટોપ ફ્લોરની અંદર ઓયો હોટલ આવી છે. માંગુકિયાએ વધુમા કહ્યું કે, મોટા ભાગે જે શાકભાજી લેવાનો જે સમયગાળો હોય છે, જે મહિલાઓને બહાર નીકળવાનો સમયગાળો હોય છે એવા સમયે આ હોટેલોની અંદર દૂષણો ચાલતા હોય છે અને આ હોટલો સદંતર પણે બંધ થવી જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર આ ‘પ્રતિક્ષા’ નામનું જે એપ છે એમાં એક પણ હોટેલના માલિકો, એક પણ હોટેલના જે સંચાલકો છે એ પોલીસ સ્ટેશનની અંદર એ એપનો ઉપયોગ કરતા નથી અને રજિસ્ટ્રેશન પણ કરતા નથી. 'એક પણ ST ડેપો આવેલો નથી'
સ્થાનિક રોનક ઘેલાણીએ જણાવ્યું હતું કે, સુરત મનપામાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વરાછાના ગરનાળાથી લઈ છેક કામરેજ સુધી, આ બાજુ ઉમરા-વેલંજા સુધી અને આ બાજુ યોગીચોક સુધીમાં એક પણ ST ડેપો આવેલો નથી. તો તેમની માટે એક જગ્યા ફાળવવામાં આવે જ્યાં ટ્રાફિકનો બનાવ ન બને, તેવી જગ્યા સારી એવી સિલેક્ટ કરી અને ફાળવવામાં આવે જેથી કરીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે વાર-તહેવાર અને પ્રસંગોપાત જતી પબ્લિક માટે એક સારી એવી સુવિધા પ્રાપ્ત થાય. 'પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર'
ઘેલાણીએ વધુમાં કહ્યું કે, તેવી જ રીતે વોર્ડ નં. 2, 3 અને 4 હોય, આ તમામ જગ્યાએ લગભગ પોલીસ સ્ટેશનની જગ્યા ભાડાપટ્ટા ઉપર અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર બનેલી જગ્યાઓ છે, તેને ફિક્સ જગ્યા ફાળવી અને તેમને વિસ્તારની મધ્યમાં બનાવવામાં આવે જેથી કરીને પોલીસ સ્ટેશનનું કોઈપણને જ્યારે કામ પડતું હોય ત્યારે લોકોને શોધવું ન પડે અને પોલીસ પણ તત્કાલ ગણતરીની મિનિટોમાં ગુનેગારોને પકડવામાં મદદરૂપ બની શકતી હોય છે. '200 જેટલી બસો ચાલતી હોવાથી ટ્રાફિકની સમસ્યા'
રોનક ઘેલાણીએ કહ્યું કે, સમસ્યામાં તો તમને ખ્યાલ છે કે ટ્રાફિકની સમસ્યા મોટા વરાછા વિસ્તારમાંથી સાંજે લગભગ 200 જેટલી બસો સુરતથી સૌરાષ્ટ્ર તરફ રવાના થતી હોય છે. ત્યારે વ્યવસ્થિત રોડ રસ્તા તો બની ગયા છે પરંતુ જો 'નો એન્ટ્રી' ઝોનને બાદ કરી એક મોટી જગ્યામાં ST ડેપો બની જાય તો ખરેખર આ ટ્રાફિકનું ન્યૂસન્સ પણ ઓછું થઈ શકે તેમ છે. તેવી જ રીતે એક સાયબર ફ્રોડનો મુદ્દો પણ આ વિસ્તારમાં બહુ મોટા પાયે આવે છે કે ગુજરાત બહારની પોલીસ અવાર-નવાર વરાછાના ઘણા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ગુનેગારોની અટકાયત કરવા માટે આવતી હોય છે. તો આગામી કોર્પોરેટરો જે કોઈ બને તે સ્થાનિક પોલીસને સાથે લઈ અને આ જે સાયબર માફિયાઓ છે તેની ઉપર ડામ મૂકવામાં આવે અને નવા ગુનેગારો ન પેદા થાય તેની તકેદારી રાખવામાં આવે. 'મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે'
તેને વધુમાં કહ્યું કે, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જો રિવરફ્રન્ટ ઉપર ઘણા પતંગોત્સવ, રમોત્સવ અથવા બહારનું ડેલિગેશન જ્યારે આવતું હોય ત્યારે મોટા મોટા કાર્યક્રમો થતા હોય, તેવી જ રીતે વરાછાના ગઢપુરથી લઈ કામરેજ સુધીમાં જો રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, તો આપણે પણ રમોત્સવ, પતંગોત્સવ તેવા ઘણા મોટા મોટા કાર્યક્રમો ઉજવી અને આ વરાછાની જનતાને ખુશ રાખી શકીએ તેમ છીએ. તો મારી એક ખાસ માંગ છે કે રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવે, લોકોને એક આસ્થાનું પ્રતીક અને એક ટુરિઝમ ડેવલપ કરવામાં આવે. 'અમે જીતાડીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે'
જયેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમસ્યાઓ તો હાલ ઘણી છે, જે અમે ચાલુ કોર્પોરેશનને અમે જીતાડીએ છીએ અને ટૂંક સમય થાય એટલે પક્ષ પલટો કરી નાખે તો અમારા વિસ્તારના વિકાસો થતા નથી. પક્ષ પલટો કરે એનોય અમને વાંધો નથી, પક્ષ પલટો કર્યા પછી પણ વિકાસના કામો નથી થતા અને ખાલી વાહ-વાહી કરે છે બધા. 'કોઈ સાફ-સફાઈ થતી નથી '
સ્થાનિક નિલેશ પોલરાએ જણાવ્યું હતું કે, મોટા વરાછા, ઓક્સિજન હાઉસની પાછળ રહું છું, શિવનગર સોસાયટીમાં. તો તે શિવનગર સોસાયટીની બાજુમાં, આગળ ઓક્સિજન હાઉસની પાછળ "શાંતિકુંજ" આવેલો છે. એ નિરાધાર પડેલો છે. એમાં કોઈ સાફ-સફાઈ થતી નથી અને એસ.એમ.સી. (SMC) વાળા એમ જ પગાર લઈ રહ્યા છે. અને 15 દિવસ પહેલા નાળિયેરી પડેલી છે, તો એસ.એમ.સી. વાળા બે કટકા કરી ગયા છે પણ ભરી નથી ગયા. અને ત્રણ-ચાર ફેર અમારા પ્રમુખે અરજી આપેલી છે, તોય પછી એનો કોઈ નિકાલ થયો નથી. 'એમનેમ પગાર લઈ રહ્યા છે'
તેને વધુમાં કહ્યું કે, હાલની સ્થિતિ જોઈએ તો નાળિયેરી જે સાઈડમાં છે, ત્યાં હમણાં બહારના લોકો મહેમાન આવે, તો ત્યાં ગાડી પાર્ક કરતા. તો હવે ત્યાં ગાડી પણ પાર્ક કરવી મુશ્કેલી છે, એટલા માટે નાળિયેરી નડી રહી છે. શાંતિકુંજની સ્થિતિ અત્યારે સાવ નિરાધાર (ખરાબ) પડેલો છે. કોઈ ત્યાં બેસતું નથી, કૂતરા બેસે છે અને સાફ-સફાઈ થતી નથી, એમનેમ પગાર લઈ રહ્યા છે. 'પીક અવર્સના સમયમાં ફૂલ ટ્રાફિક સર્જાય છે'
નમ્રિત જોગાણીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી વોર્ડ નંબર 2માં રહીએ છીએ. અહીંયા સરસ મજાનો વી.આઈ.પી. ટુ અબ્રામાનો મેઈન ટી.પી. રોડ બન્યો છે આર.સી.સી. પણ તે રોડમાં અમુક જગ્યાએ ખામી રહી ગઈ છે. ભૂતપૂર્વ કોર્પોરેટરના કારણે જે ઉતરાણ પાવર હાઉસની દીવાલ છે, ત્યાંથી રસ્તો 10 ફૂટ જેટલો સાંકડો થઈ જાય છે. કાયદેસર એ દીવાલ તોડીને તેને વ્યવસ્થિત રીતે રી-ડેવલપ કરી નાખવામાં આવે તો ત્યાંથી રસ્તો ઘણો પહોળો થઈ શકે એમ છે. 'વળાંકના કારણે અકસ્માત ને ભૂતકાળમાં 10 લોકોના મોત થયા છે'
જોગાણીએ વધુમાં કહ્યું હતું કે, અહીંયા તાપી નદીના કાંઠે સરસ મજાનું મહાદેવનું મંદિર આવેલું છે. તો ત્યાં જે સીટી વિસ્તાર છે, ત્યાં જેમ ઓવારા ડેવલપ કરેલા છે વ્યવસ્થિત રીતે, તો એ વિસ્તારના અમારા મહાદેવજીનો ઓવારો છે તેને પણ વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે. અહીંયા અબ્રામા ખાતે જે કબ્રસ્તાન આવેલું છે, ત્યાં વળાંકના કારણે ઘણા લોકો ડમ્પરનો ભોગ બને છે. ભૂતકાળમાં ત્યાં 10 જેટલી વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે, તો એ ભયંકર વળાંકનું પણ કંઈક સોલ્યુશન કરવામાં આવે એવી અમારી સ્થાનિક લેવલે રજૂઆત છે. 'ધો.1થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત એક જ ઈંગ્લીશ મીડીયમના શિક્ષક છે'
સ્થાનિક વિપુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારે વોર્ડ નં. 2માં, મોટા વરાછામાં 4 સરકારી સ્કૂલો આવેલી છે. છેલ્લા 4 વર્ષથી એક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચાલુ થયેલી છે. એ 4 વર્ષ થઈ ગયા પણ 4 વર્ષની અંદર 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. હવે વિચાર કરો કે ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવાના છે અને એક શિક્ષકથી કઈ રીતે શક્ય છે?. પણ અત્યાર સુધી 3 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધીમાં કોઈ નિરાકરણ આવેલ નથી. '3-3 વર્ષ થઈ જાય છે અને ભણતર મળતું નથી'
તેને વધુમાં કહ્યું કે, કોર્પોરેટરો કહે છે કે અમે રજૂઆત કરીએ છીએ પણ અમારું કોઈ સાંભળતા નથી. હવે મારી વારંવાર રજૂઆત એ જ છે કે તમે રસ્તા ખરાબ આપો તો ચાલશે, પીવાનું પાણી ના આપો તો પણ ચાલશે, પણ અમારા બાળકનું ભવિષ્ય ન બગડે એ વિશે થોડું વિચારો તમે. એનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. 2-2, 3-3 વર્ષ થઈ જાય છે પણ એ સમય પસાર થાય છે અને ભણતર મળતું નથી. 'વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો'
દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક ઝોનની અંદર એક પુસ્તકાલય હોય છે, તો ઝોન Aની અંદર પુસ્તકાલય આ ગયા વર્ષે-બે વર્ષ પહેલા બની ગયું છે. ઝોન B વરાછા-સરથાણા ઝોન બન્યું છે નવું, એ ઝોન ખૂબ વિશાળ છે, એમાં લગભગ સાતથી આઠ લાખ લોકોની વસ્તી રહી રહી છે. તો અમારી માંગણી એ છે કે તમે વરાછા B ઝોનની અંદર પણ એક પુસ્તકાલય મોટું બનાવો, કે જેથી યુવાનો પુસ્તકો વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે અને પોતાનું કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે. 'ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના સ્વિમિંગ પુલ નથી'
તેને વધુમાં કહ્યું કે, બીજી અમારી માંગણી એ છે કે મોટા વરાછામાં એક સ્વિમિંગ પુલની પણ જરૂર છે. સ્વિમિંગ પુલ છે પણ ઇન્ટરનેશનલ લેવલના કોમ્પિટિશન માટેના નથી. દરેક સ્વિમિંગ પુલની સાઈઝ ઓલિમ્પિક સાઈઝની કોમ્પિટિશન માટેની બનાવવામાં આવતી હોય છે. ઝોન Aમાં છે એવા ઝોન Bની અંદર નથી બનાવવામાં આવેલા, તો અમારી એ પણ ડિમાન્ડ છે કે 'ખેલો ઇન્ડિયા', 'ખેલો ગુજરાત' નામે ગુજરાત સરકાર વારંવાર કાર્યક્રમ યોજતી હોય છે, તો અમે પણ એવું ઇચ્છીએ છીએ કે કાર્યક્રમની સાથે સાથે અમે એક એવી સુવિધા પણ આપવામાં આવે, જેથી કરીને સ્વિમિંગ પુલ સારો હોય તો યુવાનો તરતા શીખી શકે.
Read Original Article →