સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું:વરાછામાં સગીરાને ભગાડી વતન લઈ જનાર રત્નકલાકાર જેલના સળિયા પાછળ, પોલીસે પોક્સો હેઠળ આરોપીને દબોચ્યો
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં વરાછા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અલ્પેશ ગોહિલને ઝડપી પાડ્યો છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ નોંધાયેલી ગુમશુદગીની ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને તેના વતનથી દબોચી લઈ સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી હતી. ફરિયાદીની પુત્રીને અજાણ્યો શખ્સ ભગાડી ગયો
ઘટનાની વિગતો મુજબ, વરાછા પોલીસ મથકે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે. આ ગંભીર મામલાની તપાસ માટે એસીપી પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પી.આઈ.ની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. તપાસ દરમિયાન પોલીસને સફળતા મળી હતી અને આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું
ઝડપાયેલો આરોપી અલ્પેશ મધુભાઈ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રૂપાવટી ગામનો વતની છે. તે સુરતમાં વરાછાના ઘનશ્યામનગરમાં રહીને રત્નકલાકાર તરીકે વ્યવસાય કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ આરોપીના રિમાન્ડ મેળવ્યા
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અપહરણની કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે, જ્યારે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →