સુરતમાં 7 દિવસમાં ખાડી-અગાશી પરથી 3 અજાણ્યા મૃતદેહ મળ્યાં:એકની હાથ-પગ બાંધીને હત્યા, હાથ પર 'હરે રામ'નું ટેટૂ; વાલી-વારસ ન મળતા પોલીસની ઊંઘ હરામ!
સુરત શહેરમાં વિતેલા માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાંથી ત્રણ અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સૌથી મોટો અને ગંભીર પડકાર એ છે કે, આ ત્રણેય મૃતદેહ કોના છે? તેની ઓળખ કરવામાં સુરત પોલીસ અત્યાર સુધી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આ ત્રણ ઘટનાઓ પૈકી એકમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, જ્યારે અન્ય બે ઘટનામાં આકસ્મિક મોતનો ગુનો નોંધીને ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 24 મેઃ પાંડેસરામાં અગાશી પરથી સડતો મૃતદેહ મળ્યો
તાજી ઘટનાની વાત કરીએ તો, ગત 24 મેના રોજ પાંડેસરા વિસ્તારમાં આવેલી એલઆઈજી 570 સોસાયટીમાંથી એક આંચકાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં બે માળની બિલ્ડિંગની અગાશી પરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની સ્થિતિ જોતા પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે આ લાશ છેલ્લા ત્રણ દિવસથી અગાશી પર પડી રહી હતી અને તે સડવા લાગી હતી. આ સોસાયટીના રહીશો પણ આ વ્યક્તિને ઓળખતા નથી. આ અજાણ્યો શખ્સ બિલ્ડિંગમાં ક્યાંથી આવ્યો? કઈ રીતે અગાશી સુધી પહોંચ્યો? અને તેનું મોત કયા સંજોગોમાં થયું? તે એક ઘેરા રહસ્ય સમાન છે. હાલ પાંડેસરા પોલીસે આ મામલે આકસ્મિક મોતનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 18 મે: બમરોલીની ખાડીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી
આ અગાઉ 18 મેના રોજ સુરતના બમરોલી વિસ્તારની ખાડીમાંથી એક યુવકની હાથ અને પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં તરતી લાશ મળી હતી. ઘટનાની ગંભીરતા જોઈને અલથાણ પોલીસે તાત્કાલિક ધોરણે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો કોઈ અદાવત કે ક્રાઈમનો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો કે, ઘટનાના સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે, આ કમનસીબ યુવક કોણ હતો અને તેને આટલી ઘાતકી સજા કોણે આપી? હાથ પર 'હરે રામ'નું ટેટૂ હોવા છતાં ઓળખ અશક્ય બની
અલથાણ પોલીસ સ્ટેશનની હદમાંથી મળેલા આ યુવકની ઓળખ કરવા માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. મૃતક યુવકના હાથ પર 'હરે રામ' લખેલું એક ટેટૂ બનેલું છે, તેમજ તેનો એક ફોટોગ્રાફ પણ પોલીસ દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપ ગ્રુપોમાં વાયરલ કરવામાં આવ્યો છે. પોલીસને આશા હતી કે, આ ટેટૂ જોઈને તેના પરિવારજનો કે કોઈ ઓળખીતું સામે આવશે, પરંતુ અત્યંત ખેદજનક વાત છે કે આટલા પ્રયાસો બાદ પણ આ મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જે પોલીસ માટે મોટી મુંઝવણ સાબિત થઈ રહી છે. 23 મેઃ લિંબાયતની નારાયણ નગર ખાડીમાંથી વધુ એક અજાણ્યો મૃતદેહ મળ્યો
હજી પાંડેસરા અને અલથાળની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં 23 મેના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાંથી વધુ એક લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લિંબાયતના નારાયણ નગર નજીક આવેલી ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ ખાડીમાં લાશ જોઈને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી લિંબાયત પોલીસે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી. આ યુવક કોણ છે?, ક્યાંનો રહેવાસી છે? અને ખાડીમાં કઈ રીતે પડ્યો? તે અંગે આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરવા છતાં કોઈ સગડ મળ્યા નથી. પોલીસે હાલ આકસ્મિક મોતની ફરિયાદ નોંધી તપાસ લંબાવી છે. અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશનો એક્શન મોડમાં, તપાસ તેજ કરાઈ
સુરત શહેરમાં માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ-ત્રણ અજાણ્યા મૃતદેહો મળવાના કારણે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. અલથાણ, પાંડેસરા અને લિંબાયત એમ ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનો આ ત્રણેય કેસ ઉકેલવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો આ વિસ્તારોના ગુમ થયેલા લોકોની યાદી ચકાસી રહી છે. આ ઉપરાંત, આજુબાજુના જિલ્લાઓ અને અન્ય રાજ્યોના પોલીસ સ્ટેશનો સાથે પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ કલૂ મળી શકે. CCTV ફૂટેજ અને ગુમશુદા ડાયરીના આધારે પોલીસનું સર્ચ ઓપરેશન
આ ત્રણેય રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે સુરત પોલીસ હવે સીસીટીવી કેમેરાના ફૂટેજ પર મોટો આધાર રાખી રહી છે. ખાસ કરીને પાંડેસરાની બિલ્ડિંગની આસપાસ અને અલથાણ-લિંબાયતની ખાડી તરફ જતા રસ્તાઓ પર લાગેલા કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે કે જેથી કોઈ શંકાસ્પદ હિલચાલ પકડી શકાય. સાથોસાથ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી 'ગુમશુદા'ડાયરીની પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી આ ત્રણેય મૃતકોની સાચી ઓળખ નહીં થાય, ત્યાં સુધી આ મોત પાછળનું સાચું કારણ અને ગુનેગારો સુધી પહોંચવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
Read Original Article →