સુરત મનપાનો ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતા:વરાછા ઝોન કચેરી નજીક એસીબીની સફળ ટ્રેપ, ફરિયાદીએ રહેણાંક મકાનમાં સાડીનો જથ્થો રાખ્યો હોય લાંચ માગી હતી

Gujarat6/9/2026, 4:11:29 PM
સુરત મનપાનો ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતા:વરાછા ઝોન કચેરી નજીક એસીબીની સફળ ટ્રેપ, ફરિયાદીએ રહેણાંક મકાનમાં સાડીનો જથ્થો રાખ્યો હોય લાંચ માગી હતી
સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતા આકારણી વિભાગના વર્ગ-3 ના ક્લાર્ક રાકેશકુમાર ચંદુભાઇ શ્રીમાળી (ઉંમર 35 વર્ષ) ને રૂપિયા 3,500 ની લાંચ લેતા એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક મકાનમાં સાડી રાખી હોય ગોડાઉન તરીકે ગણવાનું કહી લાંચ માગી હતી મળતી માહિતી અનુસાર, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ આવેલો છે, જેમાં તેઓ સાડીનો સામાન રાખતા હતા. આકારણી વિભાગના ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળીએ આ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાં સાડીઓનો સામાન જોઈને તેને 'કોમર્શિયલ ગોડાઉન' તરીકે દર્શાવવાનો આક્ષેપ કર્યો હતો. આરોપી ક્લાર્કે ફરિયાદીને ડરાવતા કહ્યું કે, આ રૂમ ગોડાઉન તરીકે હોવાથી તેના પર વાર્ષિક આશરે રૂપિયા 12,000 જેટલો મોટો પ્રોપર્ટી ટેક્સ (વેરો) આવી શકે છે.ત્યારબાદ આરોપીએ ફરિયાદીને એક વચગાળાનો રસ્તો બતાવ્યો હતો. તેણે જણાવ્યું કે જો આ મકાનનો વેરો રહેણાંક તરીકે જ ચાલુ રાખવો હોય અને વધારાના આર્થિક બોજમાંથી બચવું હોય, તો તેના બદલામાં વ્યવહાર પેટે રૂપિયા 3,500ની લાંચ આપવી પડશે. એસીબીએ છટકું ગોઠવી ફૂટપાથ પર લાંચ લેતા ઝડપી પાડ્યો ફરિયાદી પોતાના સાચા મકાન માટે કોઈ પણ પ્રકારની લાંચ આપવા માગતા નહોતા. ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે તેમણે આ બાબતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક કરવાનું નક્કી કર્યું. ફરિયાદીએ એ.સી.બી. કચેરી ખાતે જઈને ક્લાર્ક દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજના મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે આરોપી ક્લાર્કને મળ્યા હતા. વરાછા ઝોન ઓફિસની બિલકુલ બાજુમાં આવેલી હરદેવ સમોસા અને ગોએલ સેલ્સ પોઇન્ટ નામની મોબાઈલની દુકાનની સામે ફૂટપાથ પર બંને વચ્ચે મુલાકાત થઈ હતી.આ મુલાકાત દરમિયાન આરોપી રાકેશકુમાર શ્રીમાળીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને વેરો ઓછો રાખવાના કામના બદલામાં રૂપિયા 3,500ની લાંચ માંગી હતી. ફરિયાદીએ જેવી લાંચની રકમ આરોપીને આપી અને આરોપીએ તે સ્વીકારી, કે તરત જ આસપાસ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપી ક્લાર્કને લાંચની રોકડા રકમ સાથે સ્થળ પર જ દબોચી લીધો હતો. એ.સી.બી.ની ટીમે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી રકમ રૂપિયા 3,500 રિકવર કરી લીધી છે. આરોપી સરકારી કર્મચારી હોવા છતાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને નાગરિક પાસેથી નાણાં પડાવતા પકડાઈ જતાં, તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →