સુરતથી ગોવા-મંગલૂરુ જવું હવે વધુ સરળ:પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેનને કાયમી કરાઈ; ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના હજારો મુસાફરોને સીધો ફાયદો

Gujarat6/3/2026, 4:46:38 PM
સુરતથી ગોવા-મંગલૂરુ જવું હવે વધુ સરળ:પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેનને કાયમી કરાઈ; ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના હજારો મુસાફરોને સીધો ફાયદો
સુરત અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખુશખબર છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને મંગલૂરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી (નિયમિત) કરી દેવામાં આવી છે. આ સુધારેલી ટ્રેન સંખ્યા 19057/19058 સુરત-મંગલૂરુ-સુરત દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. સુરત રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય સમારોહમાં સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા ધારાસભ્ય કાંતિ બલારની પ્રેરક ઉપસ્થિતિમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) પંકજ કુમાર સિંહ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતથી ગોવા અને કોંકણ જનારા પ્રવાસીઓને મોટી રાહત આ ટ્રેન શરૂ થવાથી સુરતથી સીધા ગોવા કે કોંકણ પ્રદેશ જવા માંગતા સૂરતીલાલાઓ માટે મુસાફરી અત્યંત સરળ અને આરામદાયક બની જશે. વેકેશન કે વીકેન્ડ પ્લાન કરનારા પ્રવાસીઓ માટે આ રેલ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. સમારોહને સંબોધતા સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન રેગ્યુલર થવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ ક્ષેત્ર, ગોવા અને કર્ણાટક તરફ જતા હજારો મુસાફરોને સુરક્ષિત, સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે. જાણો શું રહેશે ટ્રેનનું ટાઈમ-ટેબલ? રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ દોડશે. સુરતથી મંગલૂરુ (ટ્રેન નં. 19057) આ ટ્રેન દર બુધવાર અને રવિવારે સુરતથી સાંજે 19:35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 19:45 વાગ્યે મંગલૂરુ પહોંચશે. આ નિયમિત સેવા આજથી એટલે કે 3 જૂન, 2026થી શરૂ થઈ ચૂકી છે. મંગલૂરુથી સુરત (ટ્રેન નં. 19058) પરત ફરતું વખતે આ ટ્રેન દર ગુરુવાર અને સોમવારે મંગલૂરુથી રાત્રે 22:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 23:45 વાગ્યે સુરત પરત ફરશે. આ સેવા 4 જૂન, 2026થી નિયમિત રીતે ઓપરેટ થશે. આર્થિક અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે લાંબા સમયથી સુરતના લોકો દ્વારા આ રૂટ પર કાયમી ટ્રેનની માંગ કરવામાં આવી રહી હતી. આ ટ્રેન શરૂ થવાથી માત્ર પ્રવાસીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ દક્ષિણ ભારત અને ગુજરાત વચ્ચે વેપાર-રોજગાર વધશે. આ નિયમિત રેલ સેવા બંને પ્રદેશોના સામાજિક, આર્થિક અને પ્રવાસન વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે.
Read Original Article →