'દારૂના અડ્ડા બંધ કરાવવાના નામે સેટિંગ કરનારા ખુલ્લા પડશે':કુમાર કાનાણીએ કહ્યું 'જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં પાછળ રહી ગયા; 'એક રૂપિયો કોઈ પાસે માંગ્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઈશ'

Gujarat4/7/2026, 7:15:53 AM
'દારૂના અડ્ડા બંધ કરાવવાના નામે સેટિંગ કરનારા ખુલ્લા પડશે':કુમાર કાનાણીએ કહ્યું 'જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં પાછળ રહી ગયા; 'એક રૂપિયો કોઈ પાસે માંગ્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઈશ'
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં વિપક્ષે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આપણે જનતા સુધી સાચી વાત પહોંચાડવામાં ક્યાંક પાછળ રહી ગયા હતા, પરંતુ આ વખતે ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામો અને સત્ય હકીકત દરેક ઘર સુધી પહોંચાડવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. 'મફત શિક્ષણના નામે જનતાને છેતરવાનું બંધ કરો' શિક્ષણના મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા કાનાણીએ કહ્યું કે, જે લોકો મફત શિક્ષણની વાતો કરીને મતો મેળવવા માંગે છે, તેમને ખબર હોવી જોઈએ કે સુરત મહાનગરપાલિકા વર્ષોથી ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપી રહી છે. આ ઉપરાંત રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો બાળકો ખાનગી શાળાઓમાં મફત ભણે છે, જેની ફી સરકાર પોતે ભરે છે. દફતર, બૂટ અને પરિવહન ખર્ચ પણ સરકાર ઉઠાવે છે, છતાં વિપક્ષ માત્ર જૂઠાણાં ફેલાવી રહ્યો છે. આરોગ્ય સેવાઓ મુદ્દે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સ્મીમેર અને સિવિલ જેવી હોસ્પિટલોમાં મફત સારવાર મળે જ છે. આયુષ્માન કાર્ડ દ્વારા દરેક વ્યક્તિને 10 લાખની સહાય મળે છે. જો એક પરિવારમાં પાંચ સભ્યો હોય, તો સરકારે અડધા કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુરક્ષા તમારા ઘરમાં અગાઉથી જ મૂકી દીધી છે. આ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે, જેથી વિપક્ષના ગપ્પા અને ભ્રામક પ્રચારનો જનતાને સાચો ખ્યાલ આવી શકે. ‘આખું વર્ષ હપ્તા ખાનારા હવે ભક્તિનો દેખાડો કરી રહ્યા છે’ વિપક્ષી નેતાઓના ચરિત્ર પર પ્રહાર કરતા કાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો કે, જે લોકો અત્યારે સુંદરકાંડ કરીને ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, તેમણે પાંચ વર્ષ સુધી દેશી દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવ્યા છે. પોલીસ સાથે સેટિંગ કરીને અડ્ડાઓ ચલાવવા અને ગેરકાયદે બાંધકામોની અરજીઓ કરી તોડબાજી કરવી એ વિપક્ષનો અસલી ચહેરો છે. આવા ભ્રષ્ટ શખ્સોને જનતાની સામે ખુલ્લા પાડવા માટે ભાજપના કાર્યકર્તાઓએ હવે જંગે ચઢવું પડશે અને સત્ય જણાવવું પડશે. 'આ વિસ્તારમાં વિરોધ પક્ષની જરૂર નથી' વરાછાના વિકાસ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શહેરમાં રોડ, રસ્તા કે પાયાની સુવિધાઓમાં કોઈ કમી રાખવામાં આવી નથી. તેમણે બહુ ગાજેલા 'વિરોધ પક્ષ હોવો જોઈએ' તેવા તર્કને ફગાવી દેતા કહ્યું કે, આ વિસ્તારમાં વિરોધ પક્ષની કોઈ જરૂર નથી. ભાજપના કાર્યકર્તાઓ પોતે જ પ્રજાનો અવાજ છે. લોકોની પીડા સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં અમે સક્ષમ છીએ. જ્યારે શાસક પક્ષ જ લોકોના પ્રશ્નો ઉઠાવતો હોય ત્યારે અન્ય કોઈની જરૂર રહેતી નથી. ‘એક રૂપિયો માંગ્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઈશ’ કાનાણીએ જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો કે, જો વરાછાનો કોઈ પણ સામાન્ય નાગરિક એમ કહી દે કે ધારાસભ્યએ કોઈ કામના બદલામાં પૈસા માંગ્યા છે, તો તેઓ અત્યારે જ પદ પરથી રાજીનામું આપી દેવા તૈયાર છે. તેમણે કાર્યકર્તાઓને પણ સૂચના આપી કે કોઈ પણ અધિકારીને પૈસા આપવાની જરૂર નથી. આપણે ઈમાનદારીથી કામ કરીએ છીએ અને જનતાની વચ્ચે વટથી મત માંગવાની શક્તિ પણ આપણી નૈતિકતામાં જ રહેલી છે. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા સૂચન ચૂંટણીના આડે હવે માત્ર 10-12 દિવસનો જ સમય બાકી છે ત્યારે કાનાણીએ કાર્યકર્તાઓને યુદ્ધના ધોરણે કામ કરવા જણાવ્યું છે. પોલિંગ એજન્ટની નિમણૂક, ટેબલ વ્યવસ્થા અને સ્લિપોનું વિતરણ જેવા કામો ઝડપથી પતાવવા સૂચના આપી છે. સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી ખોટી વાતો અને વિપક્ષના નકલી પ્રોપેગેન્ડાનું ત્વરિત ખંડન કરી જનતાને જાગૃત કરવા તેમણે તાકીદ કરી છે. સમય ઓછો હોવાથી દરેક સેકન્ડનો સદુપયોગ કરી સઘન પ્રચાર કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. 'છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બદલવા હાકલ' કાર્યકર્તાઓમાં જોશ પૂરતા કાનાણીએ કહ્યું કે, ભાજપનો કાર્યકર્તા જે બોલે છે તે કરી બતાવે છે. વરાછામાં છેલ્લા 10 વર્ષથી જે હારનું મેણું લાગ્યું છે, તે આ વખતે ગમે તે ભોગે ભાંગી નાખવાનું છે. આપણે કોઈની સામે નીચા જોણું થાય એવું કામ કર્યું નથી, તેથી પૂરા આત્મવિશ્વાસ સાથે લોકોની વચ્ચે જાઓ. દસ વર્ષનો આ દુષ્કાળ આ વખતે વિજયના ઉત્સવમાં બદલાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. 'ટિકિટ ગમે તેને મળે, આપણું લક્ષ્ય ભાજપનો વિજય' પક્ષની આંતરિક શિસ્ત અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, ટિકિટની માંગણી કરવી એ સૌનો અધિકાર છે અને અમે તમામ કાર્યકર્તાઓની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. પરંતુ ટિકિટ ગમે તેને મળે, પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડવો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. કોઈએ પણ આંતરિક ખેંચતાણ કરી પોતાના જ ઉમેદવારને પાડવાની વાત કરવાની નથી, આપણું કામ માત્ર સામેવાળાને પછાડવાનું અને ભાજપનો ભગવો લહેરાવવાનું છે. વરાછામાં કેસરીયો લહેરાવવા કાર્યકર્તાઓ તૈયાર અંતમાં, કુમાર કાનાણીએ અત્યંત જોશીલી અપીલ કરતા કહ્યું કે, આ વખતે કોઈ પણ ભૂલને અવકાશ નથી. રાત-દિવસ એક કરીને દરેક સોસાયટી અને દરેક ઘર સુધી પહોંચવાનું છે. વિપક્ષોના જૂઠાણા અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ જનતાને યાદ અપાવવાના છે. 'ભારત માતા કી જય' ના નારા સાથે તેમણે કાર્યકર્તાઓને વિજયના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરી જવા લલકાર્યા હતા. વરાછાના આ ગઢમાં ફરી એકવાર કેસરીયો લહેરાશે તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.
Read Original Article →