સુરત રેલવે સ્ટેશન બહાર કાયદો-વ્યવસ્થાના લીરેલીરા:પાણીની બોટલના હિસાબમાં પિતા-પુત્રએ વેપારીનું માથું ફોડ્યું, ધંધાની આડમાં 'સોલ્યુશન'ના નશાખોરો બેફામ

Gujarat6/6/2026, 5:54:19 AM
સુરત રેલવે સ્ટેશન બહાર કાયદો-વ્યવસ્થાના લીરેલીરા:પાણીની બોટલના હિસાબમાં પિતા-પુત્રએ વેપારીનું માથું ફોડ્યું, ધંધાની આડમાં 'સોલ્યુશન'ના નશાખોરો બેફામ
સુરત રેલવે સ્ટેશનની બહાર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ધંધો કરતા ફેરિયાઓ હવે બેફામ બન્યા છે. સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં સરેઆમ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા હોય તેવો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 5 જૂનની સાંજે સ્ટેશનની સામેની બાજુ સાયકલ પર ગુટખા અને પાન-મસાલા વેચનારા પિતા-પુત્રએ નજીવી બાબતે અન્ય એક વેપારી પર લોખંડના સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું. જાહેરમાં ખેલાયેલા આ ખૂની ખેલને પગલે ટ્રેનમાંથી ઉતરીને પસાર થતા નિર્દોષ મુસાફરો અને સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પાણીની બોટલના રૂપિયા બાબતે વિવાદ વકર્યો મળતી વિગતો મુજબ, સુરત રેલવે સ્ટેશનની સામેની સાઈડમાં વિનોદ કુમાર શર્મા નામનો વેપારી લોચો અને પોહા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે સ્ટેશનની બહાર સાયકલ પર ગુટખા વેચનારા અનિલ નામના શખ્સે વિનોદ કુમાર પાસેથી પાણીની બોટલોની પેટી લીધી હતી. આ બાબતે વિનોદ શર્મા જ્યારે અનિલ સાથે હિસાબ-કિતાબ કરવા માટે ગયો, ત્યારે અનિલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન અનિલનો પુત્ર પણ ત્યાં દોડી આવ્યો હતો અને પિતા-પુત્રએ સાથે મળીને વિનોદ શર્મા પર હુમલો કરી દીધો હતો. લોખંડના સળિયાના ફટકા મારી વેપારીને લોહીલુહાણ કર્યો આ માથાભારે પિતા-પુત્ર જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ રસ્તા પર તૂટી પડ્યા હતા. અનિલના પુત્રએ હાથમાં રહેલો લોખંડનો સળિયો વિનોદ શર્માના માથામાં ફટકારી દીધો હતો, જેના કારણે વિનોદનું માથું ફાટી ગયું હતું અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આટલેથી ન અટકતા અનિલે પણ લોખંડના સળિયા વડે વિનોદ પર આડેધડ હુમલો ચાલુ રાખ્યો હતો. સ્ટેશનની બહાર જ સરેઆમ હુમલો અને લોહી જોઈને અવરજવર કરી રહેલા હજારો મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં વિનોદ શર્માએ તાત્કાલિક કંટ્રોલ રૂમ નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો અને 108 એમ્બ્યુલેન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે હુમલાખોર અનિલ અને તેના પુત્રની અટકાયત કરી લીધી છે, જ્યારે ઈજાગ્રસ્ત વિનોદને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ધંધાની આડમાં 'સોલ્યુશન'નો નશો, કડક ચેકિંગની માગ આ લોહિયાળ બબાલ બાદ સુરત રેલ્વે સ્ટેશનની બહાર ચાલતી કાળી કમાણી અને ગુનાખોરીનો વધુ એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્ટેશનની બહાર ગેરકાયદેસર રીતે લારીઓ પર મોડી રાત સુધી ખાદ્યસામગ્રી અને ગુટખાનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ અંદરોઅંદર અને ચોરીછૂપીથી 'સોલ્યુશન' સૂંઘીને ઘાતક નશો કરે છે. ઘટનાસ્થળે એકત્ર થયેલા પ્રત્યક્ષદર્શીઓમાં એવી ભારે ચર્ચા હતી કે, વિનોદ શર્મા પર તૂટી પડનારો યુવક તે સમયે સોલ્યુશન સૂંઘીને ફૂલ નશામાં ધૂત હતો અને નશાની હાલતમાં જ તેણે આ ખૂની હુમલો કર્યો હતો. લારી-ગલ્લાવાળા બેફામ, કડક ચેકિંગની માગ સુરત રેલ્વે સ્ટેશન એ શહેરનું હૃદય ગણાય છે, જ્યાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ અહીં અસામાજિક તત્વો અને નશાખોર ફેરિયાઓનો આતંક સતત વધી રહ્યો હોવાથી સ્થાનિક રિક્ષાચાલકો અને મુસાફરો દ્વારા સ્ટેશન બહાર કડક પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ કરવાની માગ ઉઠી છે.
Read Original Article →