સુરતમાં વિશ્વ સાયકલ સપ્તાહની ઉજવણી:2000થી વધુ સાયકલિસ્ટ જોડાયા, ત્રણ કાર્યક્રમો યોજાયા

Gujarat6/7/2026, 10:48:18 AM
સુરતમાં વિશ્વ સાયકલ સપ્તાહની ઉજવણી:2000થી વધુ સાયકલિસ્ટ જોડાયા, ત્રણ કાર્યક્રમો યોજાયા
વિશ્વ સાયકલ સપ્તાહ નિમિત્તે સુરતમાં CYCLE-YUG (સાયકલ ચલાવો – દેશ બચાવો) દ્વારા 3 થી 7 જૂન દરમિયાન ત્રણ સફળ સાયકલિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં 2000થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ સપ્તાહની શરૂઆત 3 જૂને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે યોજાયેલી રાઇડથી થઈ હતી, જેમાં 80થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. ત્યારબાદ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પ્રસંગે એક વિશેષ સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં 2,000થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભવ્ય રેલીનું નેતૃત્વ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય, ફિટનેસ, પર્યાવરણ સંરક્ષણ, ઇંધણ બચત અને સાયકલિંગને જનઆંદોલન તરીકે પ્રોત્સાહન આપવાનો હતો. વિશ્વ સાયકલ સપ્તાહના સમાપન પ્રસંગે 7 જૂને યોજાયેલી કોમ્યુનિટી સાયકલિંગ રાઇડમાં 150થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે સુપર સેન્ડવિચ કંપની દ્વારા રિફ્રેશમેન્ટ્સની વ્યવસ્થા કરાઈ હતી. આ કાર્યક્રમ સુરત સાયકલિસ્ટ ગ્રુપ, બાઇસિકલ મેયર ઓફ સુરત, ફિટ ઇન્ડિયા, માય ભારત, ભારતી ક્રીડા, મનોસેતુ મેન્ટલ હેલ્થ ક્લિનિક અને સુપર સેન્ડવિચ કંપનીના સહયોગથી સફળ બન્યો હતો. CYCLE-YUGના અનિલ મરડિયા જૈને જણાવ્યું હતું કે, સાયકલિંગ માત્ર રમત નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે.
Read Original Article →