સુરતમાં ચામુંડા માતાજીની શોભાયાત્રા, નવચંડી યજ્ઞ સંપન્ન:સથવારા કડીયા પંચ, વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી આયોજન કરાયું

Gujarat4/13/2026, 4:06:45 PM
સુરતમાં ચામુંડા માતાજીની શોભાયાત્રા, નવચંડી યજ્ઞ સંપન્ન:સથવારા કડીયા પંચ, વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી આયોજન કરાયું
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી નવચંડી યજ્ઞ અને ચામુંડા માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ સંવત ૨૦૮૨ ચૈત્ર વદ દશમ, રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે સંપન્ન થયો હતો. આ આયોજન અંતર્ગત ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સથવારા કડીયા સમાજની વાડીથી શરૂ થઈ પારસીવાડ, મોટી કડીયા શેરી, સિંદુરિયા ગણેશ મંદિર અને વાવશેરી માર્ગે વિહાર કરીને શ્રી વિશ્વકર્મા ભવન પરત ફરી હતી. માર્ગમાં ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રા બાદ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં પચ્ચીસ યુગલોએ પૂજન-અર્ચન કર્યું હતું. આ ઉપરાંત, સત્તાવીસ કુંવારીકા કન્યાઓનું પૂજન કરીને તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના સર્વે લોકોમાં સનાતન ધર્મનું પાલન, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન અને સમાજમાં એકતા તથા સહકારની ભાવના મજબૂત કરવાનો છે. છેલ્લા છ વર્ષથી સતત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજક ચેતન પથ્થરવાલાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજજનો, દાતાઓ, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →