સુરત AAPમાં ભડકા જેવી સ્થિતિ:વોર્ડ-2ના સહ-કન્વીનરનું રાજીનામું, ચારિત્રહિન વ્યક્તિને ટિકિટ આપવાની તૈયારીના ગંભીર આક્ષેપ, કહ્યું- પ્રચારમાં સાથે મહિલાઓને કેવી રીતે મોકલવી?
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થવાની પ્રક્રિયા વચ્ચે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર-2ના સહ-કન્વીનરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા તેમણે પક્ષની કાર્યપદ્ધતિ અને ઉમેદવારની પસંદગીના માપદંડો સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. ચારિત્રહિન વ્યક્તિને ટિકિટ આપવાની તૈયારીના ગંભીર આક્ષેપ સાથે કહ્યું હતું કે, પ્રચારમાં તેની સાથે મહિલાઓને કેવી રીતે મોકલવી? ‘ટિકિટનો મોહ નહીં પણ પરિવર્તનની લડાઈ હતી’
રાજીનામું આપનાર પદાધિકારી અશોક બલરે સ્પષ્ટતા કરી છે કે તેમનો નિર્ણય કોઈ ટિકિટ ન મળવાને કારણે નથી. તેમણે કહ્યું કે, મેં ક્યારેય ટિકિટ માંગી જ નથી, એટલે ટિકિટ ન મળવાનો કોઈ અફસોસ હોઈ શકે નહીં. અમારો હેતુ પ્રામાણિક ઉમેદવારોને જીતાડીને શહેરમાં પરિવર્તન લાવવાનો હતો. તેમણે પક્ષના કાર્યકરો અને મિત્રોમાં ચાલી રહેલી ગેરસમજને દૂર કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો માટે જોડાયા હતા. ચારિત્રહિન વ્યક્તિને ટિકિટ આપવાના ગંભીર આક્ષેપ
રાજીનામા પાછળનું મુખ્ય કારણ જણાવતા તેમણે વોર્ડ નંબર-5ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે, જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા તેમછતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. મહિલા કાર્યકરોની સુરક્ષાનો મુદ્દો
તેમણે નૈતિકતાનો મુદ્દો ઉઠાવતા પ્રશ્ન કર્યો હતો કે, જો વિવાદાસ્પદ છબી ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવે, તો કયા મોઢે જનતા પાસે પ્રચાર કરવા જવું? ખાસ કરીને મહિલા કાર્યકરોની ગરિમા અને સુરક્ષાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આવા લોકો સાથે મહિલા કાર્યકરોને પ્રચારમાં મોકલવા તે યોગ્ય નથી. શહેર પ્રમુખને સોંપ્યું રાજીનામું
પોતાના પદનો મોહ છોડીને તેમણે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે ઉમેર્યું કે જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. ચૂંટણી પહેલા જ પાયાના કાર્યકરોનો આક્રોશ આમ આદમી પાર્ટી માટે સુરતમાં ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ મામલે શું સ્પષ્ટતા કરે છે.
Read Original Article →