SMC એપ્રેન્ટીસ ભરતી વિવાદમાં:ITI પાસને રૂ. 10,560 તો BBA-BCA ગ્રેજ્યુએટ્સને માત્ર રૂ.12,300; ‘આપ’ના ભાજપ શાસન પર આકરા પ્રહાર
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ ટ્રેડ માટે બહાર પાડવામાં આવેલી મેગા ભરતી હાલમાં ભારે વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. આ વિવાદનું મુખ્ય કારણ ધોરણ-10 પછી થતા શોર્ટ-ટર્મ આઈટીઆઈ (ITI) કોર્સ અને લાખો રૂપિયા ખર્ચીને કરાતી 3 વર્ષની પ્રોફેશનલ બેચલર ડિગ્રી વચ્ચે મનપાએ નક્કી કરેલું સ્ટાઇપેન્ડનું અકલ્પનીય અંતર છે. સુરત મનપાની ઓફિશિયલ જાહેરાત મુજબ, વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન જેવા ITI ટ્રેડ પાસ ઉમેદવારોને માસિક 10,560 સ્ટાઇપેન્ડ આપવાનું નક્કી કરાયું છે. તેની સામે 3 વર્ષ સુધી કોલેજમાં પ્રોફેશનલ અભ્યાસ કરીને BSc, BBA, BCA, BA અને BCom જેવી ઉચ્ચ સ્નાતકની પદવી મેળવનારા યુવાનોને માત્ર 12,300 આપવાની જાહેરાત કરાઈ છે. આમ, ઉચ્ચ પ્રોફેશનલ ગ્રેજ્યુએશન અને ધોરણ-10 પછીના ટેકનિકલ કોર્સ વચ્ચે માત્ર 1740 જેટલો નજીવો તફાવત રાખવામાં આવતા શિક્ષિત બેરોજગારો અને વિપક્ષમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 14 ટ્રેડની 1000 જગ્યાઓ માટે મેગા ભરતી
સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસશીપ તાલીમ માટે અલગ-અલગ વિભાગોમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી, એકાઉન્ટિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં મેનપાવર ઊભો કરવા માટે કુલ 14 ટ્રેડની આશરે 1,000 જેટલી જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, જેવી આ જાહેરાત સાર્વજનિક પ્લેટફોર્મ પર આવી, કે તરત જ તેના પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાતના વિસંગત સમીકરણોને કારણે તે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. પ્રોફેશનલ ડિગ્રી ધારકોનું અપમાન?
જે વિદ્યાર્થીઓએ BCA, BSc કે BBA જેવા મોંઘા વ્યાવસાયિક કોર્સોમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, તેઓને માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ, ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર અને પી.આર આસિસ્ટન્ટ જેવી મહત્વની જવાબદારીઓ સોંપાશે. ધોરણ-12 પછી 3 વર્ષ કડી મહેનત કર્યા બાદ મળતી આ ડિગ્રી ધારકોને મનપા માત્ર રૂ.12,300નું સ્ટાઇપેન્ડ આપશે, જેને યુવાનો પોતાની મહેનતનું અપમાન ગણાવી રહ્યા છે. માત્ર 11 મહિનાનો કોન્ટ્રાક્ટ
મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતી કાયમી નોકરી માટેની નથી, પરંતુ માત્ર 11 મહિનાના ફિક્સ કોન્ટ્રાક્ટ માટેની છે. કોન્ટ્રાક્ટ આધારિત નોકરી હોવાથી ભવિષ્યની કોઈ સુરક્ષા નથી અને પગાર ધોરણ એટલું નીચું છે કે રોજગાર મેળવનાર યુવાન પોતાનું ટ્રાન્સપોર્ટેશન અને ખાવા-પીવાનો ખર્ચ પણ માંડ કાઢી શકશે. યુવા સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારી સંસ્થાઓ જ જ્યારે આ પ્રકારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે સસ્તો મેનપાવર શોધતી હોય ત્યારે ખાનગી ક્ષેત્રો પાસેથી યોગ્ય પગારની અપેક્ષા રાખવી નકામી છે. "આ જાહેરાત હાસ્યાસ્પદ છે": આમ આદમી પાર્ટી
સુરત મનપાની આ નીતિ સામે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણીએ ઉગ્ર વિરોધ નોંધાવતા આ પ્રક્રિયાને તદ્દન ‘આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ’ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, "મોટી ડિગ્રીઓ ધરાવતા યુવાનો અને ITI ધારકો વચ્ચે માત્ર રૂ. 2,000 (અથવા રૂ. 1740)નો જ ફરક રાખવામાં આવ્યો છે. આ નીતિ દર્શાવે છે કે, સરકારને યુવાનોના ભવિષ્ય કે તેમના શિક્ષણની કોઈ કિંમત જ નથી." પંજાબમાં કાયમી પ્રક્રિયા તો ગુજરાતમાં શોષણ કેમ?
યોગેશ જાદવાણીએ પંજાબની 'આપ' સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે, "એક તરફ પંજાબ સરકાર 65,000 જેટલા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી નોકરી આપી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં ક્યાં સુધી ઠેકેદારી પ્રથાના નામે શિક્ષિત યુવાનોનું શોષણ થતું રહેશે? કેન્દ્ર, રાજ્ય અને સુરત મનપા ત્રણેય જગ્યાએ ભાજપની સત્તા હોવા છતાં યુવાનોને આટલા ઓછા પગારે કામ કરવા મજબૂર કરાય છે." આજે જ્યારે પેટ્રોલ, ડીઝલ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે આટલા ઓછા પગારમાં યુવાન પોતાના પરિવારનું ભરણપોષણ કઈ રીતે કરી શકે? વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આ માત્ર કોન્ટ્રાક્ટ પ્રથાના બહાને મળતિયા કોન્ટ્રાક્ટરોને ટેન્ડરો આપીને કરોડો રૂપિયાનું ‘ચૂંટણી ફંડ’ ભેગું કરવાનો કારસો છે. આપ નેતાએ આશા વ્યક્ત કરી છે કે, આ 1000 જગ્યાઓની ભરતીમાં કોઈ પણ પ્રકારનું કરપ્શન ન થાય અને યુવાનોને વહેલી તકે ન્યાય મળે.
Read Original Article →