ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમ:ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમમાં 1,997માંથી 1,775 કર્મચારીઓ ગેરહાજર, SMCએ 'શો-કોઝ' નોટિસ ફટકારી

Gujarat5/27/2026, 7:01:34 AM
ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમ:ડિજિટલ વસ્તી ગણતરીની તાલીમમાં 1,997માંથી 1,775 કર્મચારીઓ ગેરહાજર, SMCએ 'શો-કોઝ' નોટિસ ફટકારી
15 વર્ષના લાંબા અંતરાલ બાદ દેશમાં શરૂ થઈ રહેલી સૌથી મોટી અને અત્યંત મહત્વપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની વહીવટી પ્રક્રિયા સામે સુરતમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. રાષ્ટ્રીય સ્તરની આ અતિ મહત્વની કામગીરી પ્રત્યે સુરતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે. ડિજિટલ વસ્તી ગણતરી માટે આયોજિત ખાસ તાલીમ શિબિરમાં કુલ 1,997 કર્મચારીઓની નિમણૂક કરી હતી. જેમાંથી આશ્ચર્યજનક રીતે માત્ર 222 કર્મચારી જ હાજર રહ્યા હતા. જ્યારે બાકીના 1,775 જેટલા બેંક કર્મચારીઓ તાલીમમાંથી સંપૂર્ણપણે ગેરહાજર હતા. એક જ દિવસની આ મહત્વપૂર્ણ તાલીમમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ ગેરહાજર રહેતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. તંત્રએ તાત્કાલિક અસરથી તમામ ગેરહાજર રહેલા 1,775 કર્મચારીઓને 'શો-કોઝ' નોટિસ ફટકારી સત્તાવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મહત્વના કાર્યમાં આ પ્રકારની બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત પાલિકા તરફથી આપવામાં આવ્યો છે. યોગ્ય ખુલાસો નહીં મળે તો સીધી પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં કડક શબ્દોમાં પૂછવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રીય કામગીરીમાં આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ તમારી સામે કાયદેસરના પગલાં કેમ ન લેવા?" વહીવટી તંત્રએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગેરહાજર કર્મચારીઓ તરફથી કોઈ યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં મળે, તો તેમની સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ સીધી પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના આ આકરા વલણથી બેંકિંગ આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હજી પણ 2,300 કર્મચારીની અછત, 900થી વધુની મુક્તિની અરજી એક તરફ તાલીમમાં કર્મચારીઓ ગેરહાજર રહી રહ્યા છે, તો બીજી તરફ સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીની આખી કામગીરી પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. આ સમગ્ર ડિજિટલ વસ્તી ગણતરી માટે સુરતમાં કુલ 15,800 કર્મચારીઓની જરૂરિયાત છે, જેની સામે હજુ પણ આશરે 2,300 જેટલા કર્મચારીઓની ઘટ છે. ફરજમાંથી મુક્તિ માટે અરજી કરનારમાં સૌથી વધુ બેંકના કર્મચારી આ સ્ટાફ સંકટ વચ્ચે પણ 900થી વધુ કર્મચારીઓએ અલગ-અલગ કારણોસર આ ફરજમાંથી મુક્તિ મેળવવા માટે વહીવટી તંત્રને અરજીઓ કરી દીધી છે, જેમાં સૌથી વધુ સંખ્યા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા અલગ-અલગ ઝોનમાં તાલીમ શિબિરો યોજાઈ હતી ડિજિટલ વસ્તી ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત હોવાથી કર્મચારીઓને તે અંગે માહિતગાર કરવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં ખાસ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ બેંક મેનેજમેન્ટ અને કર્મચારીઓના અસહકારના કારણે પાલિકાની આ આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને તાલીમ કેન્દ્રો પર ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
Read Original Article →