મુખ્યમંત્રી વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરત પહોંચ્યા:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સાથે મુસાફરી કરી, 200 કરોડના ખર્ચે તૈયાર ‘જમનાબા વિદ્યાર્થી ભવન’નું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 24 મેએ સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગરથી સુરત સુધીની સફર મુખ્યમંત્રીએ વંદે ભારત ટ્રેનમાં કરી હતી. એટલે કે બપોરે બે વાગ્યાની આસપાસ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં બેસી સુરત સુધીની સફર કરી હતી. વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં સફર કરી હતી. આ સમયે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા. એટલે કે બંન્ને નેતાઓએ ગાંધીનગરથી સુરત સુધી ટ્રેનમાં મુસાફરી કરીને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત 200 કરોડના ખર્ચે બનેલું જમનાબા વિદ્યાર્થી ભવવનું લોકાર્પણ કરશે. જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરશે
સુરત શહેરના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતમાં ગ્રામ્ય અને અન્ય વિસ્તારોમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાના ઉમદા હેતુથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્માણ પામેલ ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનનું આજે સાંજે 5:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રીએ એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ કરી છે. વડપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે, મુખ્યમંત્રીએ પોતાના પ્રાઇવેટ વાહનોના કાફલાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ વંદે ભારત ટ્રેન મારફતે મુસાફરી કરીને સુરત પહોંચ્યા છે. મુખ્યમંત્રીનો આ નિર્ણય સામાન્ય જનતામાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ પ્રત્યે જાગૃતિ લાવવા અને સાદગીનો ઉત્કૃષ્ટ સંદેશ આપનારો સાબિત થશે. 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા
સુરત શહેરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારમાં આકાર પામેલું આ જમનાબા વિદ્યાર્થી ભવન સુરત અને સમગ્ર પટેલ સમાજ માટે ગૌરવ સમાન છે. આધુનિક આર્કિટેક્ચર અને વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ ભવન કુલ 13 માળનું છે, જે અંદાજે 3 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝ અંતર્ગત અંદાજે 1000 જેટલા વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ભવન માત્ર વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા નથી, પરંતુ તેમના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું એક મોટું કેન્દ્ર બનશે. અહીં ડિજિટલ લાઈબ્રેરી, વાઈ-ફાઈ કનેક્ટિવિટી, સ્પોર્ટ્સ ઝોન અને પૌષ્ટિક ભોજન માટે ડાઈનિંગ હોલ જેવી અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બહારથી આવતા તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે. દીકરીઓ માટે પણ ભવનનું નિર્માણ કરાશે
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા માત્ર દીકરાઓ જ નહીં, પરંતુ દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ દૂરંદેશી અભિગમના ભાગરૂપે, સંસ્થા દ્વારા આગામી સમયમાં 500 દીકરીઓ માટે "કિરણ મહિલા ભવન"નું પણ નિર્માણ કરીને લોકાર્પણ કરવામાં આવશે. આ બંને ભવ્ય પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે કુલ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડ્રીમ પ્રોજેક્ટના માધ્યમથી સુરત આવતા મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોના સંતાનોને ખૂબ જ કિફાયતી દરે ઉચ્ચ સ્તરની શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
Read Original Article →